Publish Date: Tue, 15 Oct 2019 (12:30 IST)
Updated Date: Tue, 15 Oct 2019 (12:31 IST)
દેશભરમાં મંદીને કારણે હજ્જારો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે ત્યારે સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પર આ મંદીના મારમાં સપડાયા છે. દિવાળી આવે અને સોનાની ખરીદી કરે પણ આ વર્ષે મંદીના કારણે સોનાની ખરીદી ઓછા થાય તેવી શક્યતા છે અને એટલા કારણે જ, સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પણ બેકાર બનવા લાગ્યા છે. સોનાના વેપારીઓને ઓર્ડર મળતા નથી એટલા માટે કારિગરો પાસે કામ નથી. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં સોનાની વિવિધ પેઢીઓમાં કામ કરતા 35 હજારથી વધુ બંગાળી કારીગરો અમદાવાદ છોડી બીજા રાજ્યોમાં અથવા તો વતન તરફ જતા રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે અમદાવાદના સૌથી જૂના માર્કેટ એવા માણેકચોકમાં ચમક રહેતી હોય ત્યાં હાલ દૂકાનો બંધ હાલતમાં છે. આની સીધી અસર સોનીને ત્યાં કામ કરતા કારીગરો પર પડી છે. જે કારીગરો સવાર-સાંજ અને નાઈટ શિફટ કરીને સોનાના દાગિના બનાવીને મહિનામાં રૂપિયા 40 હજાર કમાતા હતા તે કારિગરો પાસે દિવસનાં આઠ કલાકનું પણ કામ નથી.કારીગરોની મુશ્કેલી એ છે કે, તેમને ગુજરાતમાં રોજીરોટી મળે છે પરંતુ હવે તો, ગુજરાતમાં જ કામ નથી. છેલ્લાં 6 મહિનાથી તેમને રોકડામાં કોઈ કામ નથી મળતું. 10 વર્ષ પહેલાં પશ્વિમ બંગાળના કોલકાતાથી અમદાવાદ આવેલા શ્યામલ કોમલકલ નામના કારીગરે માણેકચોકમાં દાગિના બનાવવાનું કામ શરૂ કર્યુ હતું.