Publish Date: Thu, 04 Jan 2018 (16:24 IST)
Updated Date: Thu, 04 Jan 2018 (16:28 IST)
ગુજરાતમાં ચૂંટણીઓ પુરી થયા બાદ લોકોને ફરીવાર મોંઘવારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મોટા વચનો આપ્યાં બાદ હવે સરકારના નેતાઓ પ્રજાના પ્રશ્નોને યાદ નથી કરી રહ્યાં ત્યારે અદાણી એનર્જી દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. સીએનજીના કિલોદીઠ ભાવમાં ૧.૮૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં યુનિટે ૩.૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. સીએનજીનો ભાવ વધારો ત્રીજી તારીખની મધરાતથી અમલમાં આવી ગયો છે.
છેલ્લા દોઢ મહિનામાં અદાણી એનર્જીએ પીએનજીમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ અંદાજે રૃા. ૬થી વધુનો વધારો કરી દીધો છે. અમદાવાદમાં ૧.૫ લાખ રિક્ષાઓ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોની મળીને કુલ ૬ લાખ રિક્ષાઓ પર ભાવ વધારાનો આ બોજ આવશે. અમદાવાદમાં રોજનું અંદાજે ત્રણ લાખ કિલો સીએનજીનું વેચાણ થતું હોવાનો અંદાજ છે. તેની સામે અન્ય શહેરોની રિક્ષાઓમાં પણ ૧૦ થી ૧૨ લાખ કિલો સીએનજીનું વેચાણ થતું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તો નરોડા, વટવા, ઓઢવ અને સૈજપુરના ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો પર આ ભાવ વધારાનો બોજ આવશે. તેની સીધી અસર તેમની સ્પર્ધાત્મકતા પર પડશે. ઉદ્યોગોના માર્જિન પર પણ તેની થોડી ગણી અસર જોવા મળશે.