Publish Date: Thu, 16 Nov 2017 (16:40 IST)
Updated Date: Thu, 16 Nov 2017 (17:03 IST)
અમદાવાદમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં હવે સરસપુર વિસ્તારનો નંબર આવ્યો છે. આ વિસ્તારના રહીશોના ઘરે ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈમેમો આવી રહ્યાં છે. આ લોકોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં ભારે રોષ વ્યાપી ગયો છે. સરસપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ પણ લાગ્યા છે અને જ્યાં સુધી તેમની સમસ્યાનો હલ ન આવે ત્યાં સુધી ઉમેદવારે વોટ માંગવા આવું નહીં તેવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે.સરસરપુરની પોળના રહીશોના ઘરે આડેધડ ઈમેમો આવી રહ્યા છે. ક્યાંય તો એવી સ્થિતિ છે કે એક પરિવારને રૂ.11 હજારનો દંડ ભરવાનો થયો છે.
વાત એ હદે વણસી છે કે સ્થાનિકોએ બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતને રજૂઆત કરતા તેમણે ગૃહવિભાગને પત્ર લખી ઇ-મેમો રદ કરવા માટે કહ્યું હતું. સરસપુર ચાર રસ્તા અને આંબેડકર હોલ પાસે સીસીટીવી છે. જેના કારણે ત્યાંના રહીશોને ઇ-મેમો ફટકારાઈ રહ્યા છે. બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે ગૃહવિભાગ અને પોલીસ કમિશનરને પત્ર લખી ઇ-મેમો રદ કરવા વિનંતી કરી હતી. જગરૂપસિંહે જણાવ્યું કે, ‘સરસપુર આંબેડકર હોલ અને સરસપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવા છતાં ત્યાં સીસીટીવી છે. રસ્તો સાવ સાંકડો છે. અહીં 14 પોળ છે લોકો દુકાને આવે કે દૂધ, શાકભાજી લેવા જાય કે પછી બાળકોને સ્કૂલે મૂકવા જાય કે પછી નજીકની પોળમાં જાય કે તરત કેમેરામાં કેદ થઇ જાય જેનાથી લોકોને હેલ્મેટનો મેમો ફટકારાયો છે. પરંતુ આનું કોઈ નિરાકરણ નહીં આવતાં લોકો રોષે ભરાયાં છે.