Publish Date: Wed, 16 Aug 2017 (10:59 IST)
Updated Date: Wed, 16 Aug 2017 (11:02 IST)
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો સમગ્ર દેશમાં ચર્ચાસ્થાને છે. ત્યારે તેમની ચર્ચાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના અઢારે વાંકાને વાંકા રાખ્યા હોય હવે તેઓને એક નવી ટ્રીટ આપવામાં આવી રહી છે. આગામી તા. 20મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને મળવા લઇ જવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોએ કોંગ્રેસ પ્રત્યે દાખવેલી વફાદારીના ઇનામરુપે ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા દિલ્હી લઇ જવાશે. જયાં તેમની રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક યોજાશે. આ ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા જંગી બહુમતીથી જીતાડવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવીને આડકતરી રીતે તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની વાતને પુન: દોહરાવી હતી. કોંગ્રેસ છોડીને ધારાસભ્યોના મત વિસ્તારની જિલ્લા તથા તાલુકા પંચાયત જાળવી રાખવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. તેના ભાગરુપે જ આજે બલવંતસિંહ રાજપૂતના મતવિસ્તાર પાટણ જિલ્લા તથા સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા પંચાયત સહિતની કુલ સાત તાલુકા પંચાયતના સદસ્યો સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બેઠક યોજી હતી.