Publish Date: Fri, 22 Dec 2017 (11:57 IST)
Updated Date: Fri, 22 Dec 2017 (12:01 IST)
ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાં ધરખમ ફેરફારની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવી શકે છે. જો તેમને કેબિનેટમાં સ્થાન નહીં મળે તો આગામી લોકસભા ચૂંટણી 2019 સુધી તેઓ જ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવશે. હાલ તો પાર્ટી સૂત્રોમાં ચર્ચાતી વાતોને આધાર માનવામાં આવે તો તેઓ મુખ્યપ્રધાન અથવા કેબિનેટ કક્ષાના પ્રધાનની રેસમાં છે. ઓગસ્ટ 2016માં વાઘાણીની ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી હતી.
તેઓ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી યુવા પ્રદેશ પ્રમુખ છે. પાટીદાર આંદોલનનો સમાનો કરી રહેલા ભાજપે વાઘાણીની પસંદગી કરી અને તેઓ લાઇમ લાઈટમાં આવ્યા હતા. ભાજપના વિરષ્ઠ નેતાએ કહ્યુ્ં કે જો પાર્ટી વાઘાણીને સરકારમાં પ્રધાનપદ આપે છે તો તેઓને પાર્ટી પ્રમુખ પદેથી દૂર કરવામાં આવશે અને તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવશે. જોકે આગામી એક વર્ષમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે એવું પણ બની શકે કે પાર્ટી તેમને પ્રમુખ પદે કાર્યરત રાખે.તેમણે વધુમાં કહ્યું કે જો તેમને સરકારમાં પ્રધાન બનાવવામાં આવશે તો તેવા કિસ્સામાં પ્રદેશ પ્રમુખ તરીકે OBCનેતાને પસંદ કરવામાં આવશે અથવા પાટીદાર નેતાને પણ પસંદ કરવામાં આવી શકે છે.