Publish Date: Wed, 01 Nov 2017 (12:55 IST)
Updated Date: Wed, 01 Nov 2017 (13:07 IST)
ગુજરાતમાં હાલમાં અનામત માટે આંદોલન કરી રહેલા પાટીદારોને OBC ક્વોટા આપવા માટે રાજસ્થાનમાં સીએમ વસુંધરા રાજેની આગેવાનીમાં ભાજપ સરકાર દ્વારા અપનાવાયેલ મોડેલનો ઉપયોગ કરવાની ચર્ચા રાજ્યમાં જોર પકડી રહી છે. રાજે સરકારે રાજ્યમાં ગુજ્જર અનામત માટે OBC ક્વોટાને 21%થી વધારીને 26% કરી દીધો છે અને તેમાંથી 5% અનામત ગુજ્જર સમાજને આપ્યું છે.
હાર્દિક પટેલ સહિત પાસની કોર ટીમ અને કોંગ્રેસની નેતાગીરી વચ્ચે હાલ આ પ્રકારે ગુજરાતમાં નવું OBC ક્વોટા મોડેલ ઉભુ કરવા અંગે ચર્ચા થઈ રહી છે. રાજ્યમાં 27% OBC ક્વોટાના વધારીને 29% કરવા અને પાટીદારોને OBCમાં સમાવવા માટે OBC આયોગ દ્વારા સર્વે કરાવવા માટે પણ કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. હાર્દિકે કહ્યું કે, ‘જો ભાજપની જ રાજસ્થાન સરકાર આ પ્રકારે નવું બિલ લાવી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર શા માટે પાટીદારો માટે આવું બિલ નથી લાવતી?’ ગુજરાત કોંગ્રેસના આગેવાન અને હાઇકોર્ટના વકીલ બી.એમ. માંગુકિયાએ કહ્યું કે, ‘પાસ અને કોંગ્રેસ વચ્ચે રાજસ્થાન સરકારની OBC ફોર્મ્યુલાને ગુજરાતના પાટીદારો માટે અપ્લાય કરવા અંગે ખૂબ જ ગંભીર ચર્ચા થઈ હતી.’ તેમણે કહ્યું કે, ‘50% રીઝર્વેશન બંધારણના મૂળભૂત સ્વરૂપમાં નથી આવતું માટે તેમાં સુધારા વધારા કરી શકાય છે.’માંગુકિયાએ વધુમાં કહ્યું કે, ‘આર્ટિકલ 16માં આવેલ સબઆર્ટિકલ 3 અને 4માં જોગવાઈ છે કે સરકારી નોકરીમાં શેડ્યુલ કાસ્ટને પ્રોમોશન આપવામાં આવે. જો આ બે આર્ટિકલ લાવી શકાતા હોય તો બેકવર્ડ ક્લાસને પ્રમોટ કરવા માટેપણ સુધારી બિલ લાવી શકાય છે.’ જ્યારે આ અંગે વિરિષ્ઠ વકીલ ગિરિશ પટેલે કહ્યું કે અનામત ક્વોટામાં કોઈ જાતીને સમાવવા માટે વધારો કરવો થોડુ કોમ્પ્લિકેટેડ છે. કેમ કે આ માટે તેમાં ત્રણ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે. આપણા બંધારણના ડાઇરેક્ટિવ પ્રિન્સિપલમાં જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ, OBC અને નબળા વર્ગોનો ઉલ્લેખ છે.