Publish Date: Wed, 01 Nov 2017 (12:51 IST)
Updated Date: Wed, 01 Nov 2017 (12:55 IST)
ભાજપના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડયા હવે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડે તેવી શક્યતા છે. જાગૃતિબેન હાલમાં ગુજરાત રાજ્ય સરકારના બાળ અધિકાર માટે નીમાયેલા કમિશનના ચેરપર્સન છે. તેમણે જણાવ્યું, “જો પાર્ટી મને આ ચૂંટણી માટે મેદાને ઉતારવા માંગે તો હું તેમનો આદેશ માથે ચડાવીશ.” તેમના પતિ હરેન પંડ્યાની 2003માં હત્યા થઈ પછી પંડ્યા ઘણા વર્ષો સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા હતા.
2012ની ચૂંટણીમાં જાગૃતિ પંડ્યા કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને તેમણે એલિસબ્રિજ સીટ પરથી ચૂંટણી લડી હતી. આ સીટ પર 1993થી ભાજપ જીતતું આવ્યું છે. 2001માં હરેન પંડ્યાએ મોદી માટે આ સીટ ખાલી કરી આપવાની ના પાડી હતી. જો કે જાગૃતિ પંડ્યા આ ઈલેક્શન હારી ગયા હતા અને GPPને માત્ર બે જ સીટ મળી હતી. GPP ભાજપમાં વિલિન થઈ જતા પંડ્યાએ સરકારી ક્ષેત્રે ડગ માંડ્યા હતા. આનંદી બેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને બાળ અધિકાર પેનલના ચેરપર્સન બનાવાયા હતા.હવે સવાલ એ છે કે ભાજપ તેમની સૌથી સુરક્ષિત એલિસબ્રિજ સીટ જાગૃતિ પંડ્યાને આપશે કે નહિ? પંડ્યાએ આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી.