Publish Date: Thu, 14 Dec 2017 (14:41 IST)
Updated Date: Thu, 14 Dec 2017 (14:45 IST)
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને સુરક્ષા તંત્રએ કમરકસી હતી પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં મતદાન સમયે હિંસક અથડામણ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસનગરના હસનપુરા ગામે પથ્થરમારાની ઘટના બની છે. જેમાં પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી છે. હસનપુરા ગામે સવારથી રાબેતા મુજબ મતદાન શરૂ થયું હતું. મતદાન માટે કતારમાં ઉભેલા મતદાતાઓ પર અસમાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો.
આ પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈલેક્શનને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને કારણે સમગ્ર મામલો બિચક્યો હતો અને મતદારો પર પથ્થરમારો કરાયો હતો. આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી અને કેટલાક શખ્સોની અટકાયત પણ કરી છે.