Publish Date: Fri, 01 Aug 2025 (11:25 IST)
Updated Date: Fri, 01 Aug 2025 (11:34 IST)
બિહારમાં એક કાળજુ કંપાવનારી ઘટના બની. પટનાના જાનીપુરમાં અપરાધીઓએ ઘરમાં ઘૂસીને બે માસૂમ બાળકો અંજલી અને અંશને જીવતા સળગાવી દીધા. બાળકોની માતા શોભા દેવી એઈમ્સમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. પિતા લાલન કુમાર ગુપ્તા છે. તેઓ જાનીપુરમાં રહે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા હતા. તે સમયે તેમના માતા-પિતા ઘરે નહોતા. ત્યારબાદ કેટલાક અજાણ્યા ગુનેગારોએ ઘરમાં ઘૂસીને બાળકોને રૂમમાં બંધ કરી દીધા અને આગ લગાવી દીધી. આગને કારણે બંને બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે સ્થાનિક લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો, ત્યારે તેમણે બાળકોના પિતા અને પોલીસને જાણ કરી.
ઘરમાં ઘુસીને બે બાળકોને જીવતા સળગાવ્યા
જાનીપુરના નગવા ગામની ઘટના છે. મૃત બાળકોની વય લગભગ 10 અને 12 વર્ષ બતાવાય રહી છે. ઘટનાની માહિતી મળતા જ જાનીપુર પોલીસ સ્ટેશન અને ફુલવારી શરીફ અનુમંડલ પદાધિકારી (SDPO) દિપક કુમાર ઘટના સ્થળ પર પહોચ્યા. મૃતકના પિતાએ જણાવ્યુ કે તેઓ ચૂંટણી પંચમાં કામ કરે છે અને પત્ની એમ્સમાં સિક્યોરિટી ગાર્ડ છે. બાળકો શાળાએથી પાછા ફર્યા હતા અને ઘરમાં સૂતા હતા ત્યારે કોઈ ગુંડાએ ઘરમાં ઘૂસીને અમારા બંને બાળકોને આગ લગાવી દીધી. બંને બાળકોના બળેલા મૃતદેહ પલંગ પર મળી આવ્યા. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે અમે જોયું કે બંને બાળકો બળી રહ્યા હતા.
બાળકોના માતા-પિતા ઘરે નહોતા
ગામલોકોએ આ ઘટના પર શંકા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી પણ એક કાવતરું છે. તેમનું કહેવું છે કે ગામના કેટલાક ગુંડાઓએ જાણી જોઈને ઘરમાં આગ લગાવી હતી, જેના કારણે બંને બાળકોના મોત થયા હતા. મામલાની ગંભીરતા જોઈને પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમને બોલાવી હતી. ડોગ સ્ક્વોડ અને સ્પેશિયલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે પ્રથમ નજરમાં આ મામલો આગને કારણે બાળકોના મૃત્યુનો લાગે છે. પરંતુ, પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ ઘટનાના કારણોની કરી રહી છે
તપાસ
ફુલવારી શરીફના એસડીપીઓ દીપક કુમારે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે બે બાળકો, એક છોકરો અને એક છોકરી, આગમાં મૃત્યુ પામ્યા છે. ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારે કેટલાક લોકો પર જાણી જોઈને આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.