Publish Date: Mon, 25 Jan 2021 (13:27 IST)
Updated Date: Mon, 25 Jan 2021 (13:57 IST)
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થયાને એક અઠવાડિયાનો સમય થઈ ગયો છે, પણ આ જીતને લઈને હજુ પણ જશ્નનો માહોલ છે. ભારતીય ક્રિકેટરો સ્વદેશ આવી ગયા છે. તેમનું અહીં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, તેના કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે.
ભારતીય ખેલાડીઓનું વિવિધ ભેટસોગાતથી સ્વાગત પણ થઈ રહ્યું છે.
સૌથી પહેલા બીસીસીઆઈએ આખી ટીમને પાંચ કરોડ બૉનસ આપવાની જાહેરાત કરી છે.
બાદમાં શુક્રવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ છ ક્રિકેટરોને મહિન્દ્રા થાર આપવાની જાહેરાત કરી.
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ ભેટનો હેતુ યુવાઓને ખુદમાં ભરોસો રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
એ નવલોહિયા ભારતીય ખેલાડીઓ જેમણે ઑસ્ટ્રેલિયાનું સપનું રોળી નાખ્યું
તેઓએ ટ્વીટ કર્યું, "છ યુવા ખેલાડીઓએ હાલમાં રમાયેલી ઐતિહાસિક ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેઓએ ભારતના ભવિષ્યના યુવાઓ માટે સપનાં જોવાં અને અસંભવને સંભવ કરી દેખાડવાનો ભરોસો અપાવ્યો છે."
બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પણ એક ટ્વીટ કર્યું, જેમાં પહેલી ટેસ્ટમાં 36 રન પર સમેટાઈને હારનારી ટીમ ઇન્ડિયાની કૅપ્ટનશિપ કરનારા અને આગળની ત્રણ ટેસ્ટમાંથી બેમાં જીતીને ભારતને સિરીઝ અપાવનારા કૅપ્ટન અજિંક્ય રહાણે ટીમ બેઠકની આગેવાની કરી રહ્યા છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો.