Publish Date: Fri, 03 Jul 2020 (12:02 IST)
Updated Date: Fri, 03 Jul 2020 (12:03 IST)
સુરતમાં પોઝિટિવ દર્દીઓના કેસોમાં વધારાની સાથે દર્દીઓના મોતની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 5719 કેસ અને 214 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં પ્રથમ મોત 22 માર્ચના રોજ નોંધાયું હતું. જ્યારે પહેલો કેસ 19 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં 31 મે સુધી 74 દિવસમાં સુરત શહેર જિલ્લામાં 72 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ અનલોકના 32 દિવસમાં જ 142 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. 22 માર્ચના રોજ પહેલું મૃત્યુ નોંધાયું ત્યારથી 83 દિવસ બાદ 12 જૂને મૃતાંક 99 પર પહોંચી ગયો હતો. હવે માત્ર 20 જ દિવસમાં મૃતકોની સંખ્યા બમણી થઈ છે અને મૃતાંક બસોના આંકડાને પાર કરી 214 થયો છે. મૃતકોમાં મોટા ભાગના દર્દીઓ કોમોર્બીડ કન્ડીંશન ધરાવતા તેમજ વયસ્ક દર્દીઓ હતા. જેથી ડાયાબિટીસ, બ્લડ પ્રેસર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા વ્યક્તિઓ તેમજ વયસ્ક વ્યક્તિઓ કોરોનાથી બચવા માટે ખાસ કાળજી રાખે તેવી તબીબો પણ અપીલ કરી રહ્યા છે. સુરતમાં 19 માર્ચના રોજ પહેલો કેસ અને 22 માર્ચના રોજ પહેલું મૃત્યુ થયું હતું. ત્યારબાદથી અત્યાર સુધીમાં સૌથી વધુ મોત 1 જુલાઈના રોજ 12 મૃત્યુ નોંધાયા હતા. અનલોક બાદ સુરતમાં કેસની સાથે મૃત્યુમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 5719 થયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 214 થઈ ગયો છે.
webdunia
Publish Date: Fri, 03 Jul 2020 (12:02 IST)
Updated Date: Fri, 03 Jul 2020 (12:03 IST)