Publish Date: Sun, 06 Jan 2019 (08:17 IST)
Updated Date: Tue, 08 Jan 2019 (17:50 IST)
ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ.
ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.
શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ?
આ મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયુ હતુ. દાનવો અમૃત પી ને અમર થઈ જવા માંગતા હતા, અને દેવતાઓ એવુ નહોતા ઈચ્છતા. તેથી અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચાખેંચીમાં અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા
હતા. એ ટીપાં જ્યા જ્યા પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક.
કહેવાય છે કે આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યુ હતુ. દેવ-દાનવોના એ 12 દિવસ પૃથ્વીવાસીઓ માટે 12 વર્ષ ગણાય છે. તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે.
12 વર્ષના આ યુદ્ધમાં 12 કુંભ હતા, તેમાંથી 4 કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા. યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી, એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.