Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શૈક્ષણિક સંસ્થા-ઉદ્યોગો શરૂ કરવા ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરીની જરૂરત નહી

શૈક્ષણિક સંસ્થા-ઉદ્યોગો શરૂ કરવા ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરીની જરૂરત નહી
, શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (11:46 IST)
ગુજરાત રાજયમાં શૈક્ષણિક-ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે ખેતીની જમીન ખરીદવા પરના તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય લઇ કલેકટરની મંજૂરી લેવાની ઝંઝટ રદ કરતો નિર્ણય રાજય સરકારે કર્યો છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં ગઇકાલે મળેલી કેબીનેટની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એક એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે હાલમાં તકરારી નોંધના મામલતદાર સમક્ષ ચાલતા કેસો હવેથી નાયબ કલેકટર ચલાવશે અને મામલતદાર પાસેથી આ સતા આંચકી લઇ તકરારી કેસોમાં લાંબા સમયથી ચાલતા ત્રણ તબક્કામાં ઘટાડો કરી માત્ર બે તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. "મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. "આ મહત્વ પૂર્ણ નિર્ણય ને પરિણામે રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે એટલું જ નહિ રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડી રોકાણો પણ આકર્ષિત કરી શકાશે. "રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી - મંજૂરી નહિ લેવી પડે "આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. "ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10 ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે. ડેટ રીકવરી-દેવા વસુલી, ગઈકઝ, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના 60 દિવસ માં જંત્રીના ફકત 10 ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયથી ઔદ્યોગિક સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે. ઊદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. એટલું જ નહિ - કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડીકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલતાં મુખ્યમંત્રીની ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ પાર પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 વર્ષથી ફરાર કાલુપુર બોમ્બ બ્લાસ્ટનો આરોપી પશ્વિમ બંગાળથી ઝડપાયો