Publish Date: Wed, 15 Apr 2020 (17:40 IST)
Updated Date: Wed, 15 Apr 2020 (17:43 IST)
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનો લાંબો અને બીજો તબકકો લાગુ કરાતા હવે ગરીબ વર્ગમાં આવતા મજૂરોની સ્થિતિ કફોડી બની રહી છે. રોજીરોટી ગુમાવનાર અને કામ માટે ઘરથી દૂર રહેતા શ્રમિકો ઘરે પણ પરત નહીં પહોંચી શકતા ગઈકાલે મુંબઈ અને સુરતમાં બનેલી ઘટનાએ રોષનો પડઘો પાડયો છે. પરપ્રાંતિઓ શ્રમિકોએ અગાઉ સુરતમાં આગચંપી કરી હતી ગઈકાલે ફરી આ મજૂરો એકઠા થતા તનાવ ફેલાયો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ઉદ્યોગ ઠપ્પ છે. મજૂરો જયાંના ત્યાં ફસાઈ ગયા છે. હવે આ ઉદ્યોગો શરૂ કરતા પૂર્વે તા.20 સુધીના દિવસો મહત્વના છે. કોરોના કેસ ન વધે તો જ ઉદ્યોગો શરૂ કરવા વિસ્તાર વાઈઝ આંશિક છૂટ મળવાની છે. પરંતુ શ્રમિકોની ધીરજ ખુટી રહી છે. મંગળવારે સુરતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડના મજૂરો એકઠા થયા હતા. ગુજરાતમાં આવા ચાર લાખ જેટલા શ્રમિકો હોવાનો અંદાજ છે. વડાપ્રધાનની નવી જાહેરાતના કલાકો બાદ જ વરાછામાં સેંકડો શ્રમિકો ઉમટયા હતા. તેઓ વતનમાં જવા દેવા વ્યવસ્થાની માંગ કરતા હતા. રાજય આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ કહ્યું હતું કે આ મજૂરો ઘરો જવા માંગે છે. તેઓને લોકડાઉન ખુલી જવાની આશા હશે. તેઓ વતન જઈ શકતા નથી અને રોજી પણ મળતી નથી. આઈ.બી. પણ કહે છે કે આ શ્રમિકોની ધીરજ ખુટી રહી છે. શ્રમિકો પોલીસ પાસે પણ વતન પરત મોકલવા રજૂઆત કરે છે. રાજય કંટ્રોલ રૂમમાં આવી રજૂઆત સાથે પરપ્રાંતિ મજૂરો ભોજનમાં ભાત અને માછલીની માંગ કરે છે.