Publish Date: Tue, 26 Mar 2024 (12:24 IST)
Updated Date: Tue, 26 Mar 2024 (12:32 IST)
- ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા 3 વ્યક્તિના મોત
- આપા ગીગાનાં ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત
- એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દર્દીના 2 સગાના મોત
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા 3 વ્યક્તિના મોત થયા છે. આપા ગીગાનાં ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એમ્યુલન્સ ચાલક ચોટીલાના વિજય બાવળિયા, દર્દીના સગા રાજપરના પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેનનું મોત થયું છે. જેમાં અકસ્માત ગ્રસ્ત એમ્યુલન્સ રાજકોટ આવી રહી હતી. તેમજ મૃતકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા. ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું. આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી.