Publish Date: Mon, 22 Aug 2016 (17:47 IST)
Updated Date: Mon, 22 Aug 2016 (17:56 IST)
શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ તા. રપ ને ગુરૂવારે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. અને આ માટે આકર્ષક ફલોટસ સાથેના રથ પણ તૈયાર થઇ રહ્યા છે. જન્માષ્ટમી પર્વ સાથે જ તહેવારોની મોસમ પુરબહારમાં ખીલે છે અને લોકો ભગવાનના જન્મોત્સવની સાથે ભકિતમાં તલ્લીન થઇ જાય છે. જન્માષ્ટમી પર્વ નિમિતે લોકમેળાની જમાવટ થાય છે. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સરકારી તંત્ર દ્વારા લોકમેળાની સાથો... સાથ અનેક શહેરોમાં ખાનગી લોકમેળાનું પણ આયોજન કરવામં આવ્યું છે. જન્માષ્ટમી પર્વ નિમિતે દ્વારકાધીશ મંદિરે પણ વિશેષ પૂજન, અર્ચન, સાથે રાત્રીના ૧ર વાગ્યા જન્મોત્સવ પ્રસંગ ઉજવણીનું આયોજન ભવ્યતાથી કરવામાં આવ્યુ છે અને તેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
ગઇકાલ રવિવારથી બોળ ચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે. આજે નાગપાંચમ નિમિતે મહિલાઓ નાગ દેવતાનું પૂજન કરીને વાર્તાનું વાંચન કરે છે. કાલે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવશે જયારે બુધવારે શિતળા સાતમ તથા ગુરૂવારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવશે.
સોમનાથમાં તા. રપ ને ગુરૂવારે રોજ સવારનાં ૯ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. સોમનાથમાં જન્માષ્ટમી નિમિતે પ્રભાસ પાટણ હિન્દુ સેવા સમાજ સમિતિ અને હરભોલે મિત્ર મંડળ - મોટા કોળી વાડા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારનાં ૯ કલાકે દૈત્યસુદન ભગવાન મંદિરે થી આ શોભાયાત્રા નિકળશે અને ડાકોર મંદિરથી પ્રસ્થાન થશે અને ભોયવાડા, દરજીવાડા (જમદગ્નેશ્વર મંદિર), મોટા કોળીવાડા, વડલા ચોક, મેઇન બજાર થઇ ઠાકોર મંદિરે પૂર્ણ થશે તો આ પ્રભુશ્રી બાલકૃષ્ણજીનાં પ્રાગટય દિને સૌવ ધર્મપ્રેમી જનતાને પધારવા હિન્દુ સેવા સમાજ ઉત્સવ સમિતિ અને હરભોલે મીત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરીષદ કાલાવડ પ્રખંડ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિની જનરલ મીટીંગમાં દર વર્ષની જેમ કૃષ્ણ મહોત્સવ ધામધુમથી ઉજવવાનો નિર્ણય થયો હતો.