Publish Date: Fri, 06 Mar 2020 (12:36 IST)
Updated Date: Fri, 06 Mar 2020 (12:39 IST)
‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી વિસ્તારની સોસાયટીઓમાં સીસીટીવી નાખવાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રોજેક્ટ હેઠળ 329 કરોડના ખર્ચે 34 જિલ્લા મુખ્ય મથકો અને 6 ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત કુલ 41 શહેરોમાં 6043 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવાની વિધાનસભાની જાહેરાત કરાઈ છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતાં કહ્યું કે વિશ્વાસ પ્રોજેક્ટ દેશનો સૌપ્રથમ પ્રજેક્ટ છે કે જેમાં કોઇ એક રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકોને સીસીટીવી નેટવર્ક હેઠળ આવરી લેવાશે. આ પ્રોજેક્ટ હેઠળ 41 શહેરોમાં પસંદ કરેલા ટ્રાફિક જંક્શન, એન્ટ્રી પોઈન્ટ અને અગત્યના લોકેશન એમ કુલ 1256 સ્થળે કેમેરા લગાડાયા છે. 34 મુખ્ય મથકો ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલની રચના કરવામાં આવી છે. જિલ્લાકક્ષાના સેન્ટરને રાજ્યકક્ષાના સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે.
જાડેજાએ કહ્યું કે અનેક ધારાસભ્યોએ તેમના વિસ્તારમાં સીસીટીવી મૂકવા પૂછતાં હતા. હવે રાજ્ય સરકારે આ નેટવર્ક તાલુકાના શહેરો સુધી વિસ્તરે તે માટે ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપતાં તેમના વિસ્તારની સોસાયટીઓ અને જાહેર સ્થળોએ સીસીટીવી લગાવી શકાશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે હાલ રાજ્યમાં ચાર મોટા શહેરોમાં સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાઈબર ક્રાઇમ સેલ કાર્યરત કરાયા છે. ટૂંક સમયમાં વધુ 10 સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જાડેજાએ સ્વીકાર્યું કે સાઈબર ક્રાઇમમાં પ્રક્રિયા લાંબી હોવાને કારણે ઝડપી ફરિયાદ નોંધાતી નથી. પરંતુ પ્રોએક્ટિવ પોલીસિંગ માટે સાઈબર આશ્વસ્ત પ્રોજેક્ટના 5 યુનિટોની સેવાનો લાભ લોકોને મળશે.