Publish Date: Thu, 20 Jun 2019 (11:13 IST)
Updated Date: Thu, 20 Jun 2019 (11:16 IST)
ઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકાશે, કાયદામાં થશે સુધારો
હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ
ગાંધીનગર: રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેને ઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ અને અન્ય રસાયણો હોય છે. રીસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાના રોગો માટે જવાબદાર હોય છે તેમજ તેમા શિશુ જેવા ધાતુઓ અને કેન્સરમાં પરિણમે તેવા રસાયણો હોય છે. ઇ-સિગારેટના ઉત્પાદકો એવા દાવો કરતાં હોય છે કે ઇ-સિગારેટમાં નિકોટીન હોતું નથી. પરંતુ ઇ-સિગારેટમાં પણ નિકોટીનની હાજરી જોવા મળ્યું છે.
ઇ-સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને આવા બાળકોને તેની લત પડી જાય છે અને તેથી બાળકો અને ૨૦ વર્ષની આજુબાજુની ઉંમરના જવાન છોકરાઓને મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે. જયારે કોઇ વ્યક્તિ ઇ-સિગારેટનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની જોડે ઉભેલી વ્યક્તિ પણ ઇ-સિગારેટમાં રહેલ એરોસીલ અને અન્ય રસાયણોનો પણ ભોગ બને છે. ઇ-સિગારેટ પીવાનો આજકાલના કુમળી વયના બાળકો તેમજ યુવકોમાં એક પ્રકારનો શોખ પેદા થયો છે જે એક ચિંતાનું કારણ છે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારિરીક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવા ધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજય સરકાર દ્વારા આગામી સમયમાં સંબધિત કાયદામાં સુધારો પણ કરવામાં આવશે.
રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે.
webdunia
Publish Date: Thu, 20 Jun 2019 (11:13 IST)
Updated Date: Thu, 20 Jun 2019 (11:16 IST)