Publish Date: Mon, 21 Sep 2020 (13:04 IST)
Updated Date: Mon, 21 Sep 2020 (13:08 IST)
દેશમાં સુરક્ષાને જોખમમાં મુકતી ચાઇનીસ કંપની સેનજેન સાથે ગુજરાત સરકારે કેટલા એમઓયું કર્યા? ધોલેરામાં સ્માર્ટ સિટી માટે શા માટે કરાર કર્યા તે અંગે ગુજરાત સરકાર જવાબ આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાતમાં ચીન સાથેના વિશેષ કરારો, ગુજરાતમાં ચીનના વડાને બોલાવી આગવી મહેમાનગતિ, ખાદીનું જેકેટ ભેટ આપવું, રિવરફ્રન્ટ ઝૂલા ઝુલાવ્યા. ભાજપ દ્વારા ભારતના પીઠમાં ખંજર ભોંકનાર ચાઈના સાથે વ્યાપાર કરવા માટે આતુર બની અનેક એમઓયુ કર્યા. બીજીબાજુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચાર વખત ચીનની મુલાકાત લીધી પણ ગુજરાત અને દેશને શું મળ્યું? નવું રોકાણ કેટલું આવ્યું ? અને કેટલા યુવાનોને રોજગારી મળી ? 20થી વધુ સૈનિકો શહીદ થાય ત્યારે ગુજરાતમાં ચાઇના અને ચાઈનીઝ કંપનીઓના હિતો સાથે કરેલ રોકાણની જાહેરાતો અને તેની આજની સ્થિતિએ જમીની હકીકત શું? દેશની સુરક્ષાને જોખમમાં મુકતી ચાઈનાની જાસૂસીનાં કચ્ચા ચિઠ્ઠા ખુલ્લી ગયા તેમ છતાં ભાજપ સરકારનો આટલો ચાઈના પ્રેમ કેમ? પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 2011ના શાસનમાં ફ્લાઈટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, મોટા પાયે હાઉસિંગ, કૃષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના 30 થી વધુ જુદા જુદા એમ.ઓ.યુ થયા પણ કેટલું? રોકાણ આવ્યું? રોજગારીની કોઈ નક્કર વાત નહીં આ જ રીતે વર્ષ 2011માં ચાઇના એનર્જી કંપની દ્વારા ગ્રીન પાર્ક નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હજી સુધી આ કંપની જમીન પર કઈ જગ્યાએ પાર્ક બન્યો? કેટલું વીજ ઉત્પાદન થયું ? એ હજુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેમને જણાવ્યું કે, વર્ષ 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ વર્ષ 2015માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે 30,000 કરોડનાં 24 એમઓયુ કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી જેમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત થઈ. વર્ષ 2017માં મુખ્યમંત્રીવિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની 37500 કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. વર્ષ 2019 માં 10,500 કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલપાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં 15.000 ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે પરંતુ જમીન પર કશું આવ્યું નથી અને સ્પેશીયલ ઇન્ડસ્ટ્રીયલ રીજીયન ધોલેરા પાંચ ઇંચ જ જેટલા વરસાદમાં બેટ-ટાપુ રૂપાંતર થઈ જાય છે ત્યારે સામાન્ય જનતાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અને બાળકોને ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર માટે હલ્લાબોલ કરતાં કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ આ બધા કરારો ક્યારે રદ કરશે તે ગૂજરાત ની જનતા જાણવા માંગે છે.