Publish Date: Wed, 09 Aug 2023 (23:23 IST)
Updated Date: Wed, 09 Aug 2023 (23:27 IST)
તથ્ય પટેલ અઠવાડિયામાં એક વખત સગાને મળી શકશે અથવા ફોન કરી શકાશે
Ahmedabad Accident - ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોને કચડી નાખનાર આરોપી તથ્ય પટેલે વિવિધ માંગણીઓ શરૂ કરી દીધી છે. આરોપી તથ્ય પટેલે જેલના બદલે બહારનું અથવા ટિફિન વ્યવસ્થાની માગ કરી હતી. જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરતી ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જે તથ્ય પટેલની માગણીઓ પર સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. હવે જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેમજ અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરી શકાશે અને અગાઉ તથ્યના વકીલે સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના ફૂટેજ માગ્યા હતા અને CCTV ફૂટેજ અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગ્યું હતું. ઇન્વેસ્ટિગેશન ઓફિસર આવતીકાલે એફિડેવિટ કરશે.
છ મહિનામાં તથ્ય પટેલે ત્રણ અકસ્માત સર્જ્યા હતા
અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ કર્યુ છે. છેલ્લા છ મહિનાની અંદર તથ્ય પટેલે ત્રણ અકસ્માત સર્જ્યા હતા. તથ્ય પટેલ નવ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોલીસે આરટીઓને અરજી આપી હતી. આ અરજી પ્રમાણે આરટીઓએ તથ્ય પટેલના લાઈસન્સને રદ કર્યું છે. અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. ચાર્જશીટમાં અકસ્માત બાદ કરાયેલા જુદા-જુદા રિપોર્ટ્સનો સમાવેશ થાય છે. મોટા ભાગના રિપોર્ટ FSL સંલગ્ન છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે ટેક્નિકલ રિપોર્ટ બરાબર છે તેમજ અકસ્માત માનવક્ષતિને લઈને થયો છે.