Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૧૦૫ વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ, કોરોનાને આપી માત

૧૦૫ વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ, કોરોનાને આપી માત
, શનિવાર, 24 એપ્રિલ 2021 (18:04 IST)
'દિકરા,કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., મને કશું થવાનું નથી, તું જોજેને હું સાજી નરવી થઈને ઘેર જઈશ..' હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સચિનના ૧૦૫ વર્ષના કોરોનાગ્રસ્ત ઉજીબાએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેમની સારવાર કરતાં ડોકટરને તેમનો આત્મવિશ્વાસ જોઈ સુખદ આશ્ચર્ય થયું. તેમની જૈફ ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા. 
 
પરંતુ આખરે ઉજીબા શબ્દશ: સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, મક્કમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી. માજી સ્વસ્થ થતાં પરિવારને અનહદ આનંદ છે. દાદીમાએ મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. ૧૦૫ વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ છે.
webdunia
આ વાત છે મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતાં ઉજીબેન ગોંડલીયાની. જેઓ ૧૯ સભ્યોના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ગામડાના મહેનતકશ જીવન, સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ અને સાત્વિક આહારના કારણે કોરોના સામે ઝીંક ઝીલી ખુબ ઓછા દિવસોમાં વિજયી થયાં. કોરોનાને મ્હાત આપનાર દાદીમાં બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે.
 
ઉજીબાના ૫૫ વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગોંડલીયા 'હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ'ના ડિરેક્ટર અને સચિન પાટીદાર સમાજના પ્રમુખ છે. તેઓ જણાવે છે કે, મારી માતા ઉજીબાએ ખેતીમાં તનતોડ મહેનત કરી છે. માતા ગામડે ખેતરમાં જાતે હળ અને સાંતી ચલાવતા, પાણી વાળતા અને બળદગાડું પણ ચલાવતા. કડકડતી ઠંડી કે ઉનાળાનો બળબળતો તાપ હોય તો પણ મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરે નહીં. આજે પણ કોઈને ચીંધવા કરતાં પોતાનું તમામ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. આ ઉંમરે તેમની શ્રવણશક્તિ અકબંધ છે. ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે તેમને ભાગ્યે જ દવાખાને લઈ જવા પડ્યા છે.
 
ગોવિંદભાઈ કહે છે કે, ઉજીબાના સગા ભાઈઓ એટલે કે મારા બે મામાઓ પૈકી એક ૧૦૮ વર્ષ અને એક ૧૦૩ વર્ષ જીવ્યા. જ્યારે એક માસી ૧૦૧ વર્ષ જીવ્યા. અમારા વડીલો ગામડાની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી દીર્ઘાયુ છે. વૃદ્ધાવસ્થાને કારણે વડીલોની સર્જરી-ઓપરેશન સફળ નથી થતાં, પરંતુ ૯૭ વર્ષની ઉંમરે પડી જવાથી માતાનો થાપાનો ગોળો ફાટી ગયો, જેનું ઓપરેશન કરીને સ્ટીલનો ગોળો નંખાવ્યો હતો. અમારા સંયુક્ત પરિવારમાં માતાની છત્રછાયા જળવાઈ રહી છે એનો સવિશેષ આનંદ છે.
 
સમર્પણ હોસ્પિટલમાં માજીની સારવાર કરનાર ડો.અનિલ કોટડિયા જણાવે છે કે, તા.૧૧ ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં ઉજીબાને દાખલ કરાયા હતાં. તાવ, શરદી, નબળાઈ જેવા લક્ષણો હતાં, જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને ૧૪મી એપ્રિલથી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતાં ત્યારે હંમેશા હસતા મુખે કહેતા કે 'દિકરા,કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., આ કોરોના-ફોરોનાથી મને કશું થવાનું નથી.' 
 
દાદીના મોં પર હમેશાં હાસ્ય રહેતુ. અને સ્ટાફ સાથે હસતા મુખે વાતચીત કરતાં. તેમની રિકવરી જોઇને હું ચોક્કસપણે કહું છું કે, કોરોના કરતાં તેનો ડર ગંભીર છે. તણાવમુક્ત રહી સારવાર લેવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. ૧૦૫ વર્ષના દાદીમાં કોરોનાને હરાવી શકતાં હોય તો આપણે કેમ ન હરાવી શકીએ.? ઉજીબાએ શીખવ્યું છે કે મક્કમ મનોબળ હોય તો કોરોનાને પણ હાર માનવી પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાયબ મુખ્યમંત્રી નીતિ પટેલ થયા કોરોના સંક્રમિત, બે દિવસથી હતા અમિત શાહ સાથે