Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

વાવાઝોડાની શક્યતાથી 50 હજાર લોકોનું સ્થળાંતરઃ વલસાડ અને નવસારીમાં ખાસ તકેદારી

Cyclone Nisarga  Updates
, બુધવાર, 3 જૂન 2020 (13:42 IST)
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. જો કે વાવાઝોડું ફંટાવાની સંભાવનાને પગલે તંત્રે રાહતનો દમ લીધો હતો. 50 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે અને કોવિડ ગાઈડલાઈન્સનું આશ્રયસ્થાનોમાં પાલન કરાયું છે. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, તમામ આગોતરી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.  દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરૂચ અને અન્ય વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે સવારે જણાવ્યું હતું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં 50 હજારથી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 15 ટીમો, એસડીઆરએફની 6 ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરત આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચાર વિમર્શ કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઝીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ ખાતાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારોમાં 250થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી છે. 250થી વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને 170 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડાની ઘાત ટળતાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી