Publish Date: Fri, 25 Aug 2017 (10:13 IST)
Updated Date: Fri, 25 Aug 2017 (10:34 IST)
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર સાધ્વી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કેસ પર આજે સીબીઆઈ ચુકાદો આવવાનો છે. નિર્ણય પછી શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ હિંસા ન થાય તે માટે પહેલેથી જ હજારો સૈનિકોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણા સરકારે મોબાઈલ ઈન્ટરનેટ સેવા 72 કલાક માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
હરિયાણાના મુખ્યમંત્રી ડેરા સચ્ચા સોદાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. રાજયમાં અત્યારથી જ 16 હજાર પોલીસ તેનાત કરી દેવામાં આવી છે. 47 સ્થળોને હાઈપર સેન્સેટીવ જાહેર કરવામાં આવ્યા છે. રામ રહીમ પર લાગેલા યૌન શોષણના આરોપનો ફેંસલો આવ્યા બાદ હિંસા ભડકી ઉઠવાની શકયતા હોવાના કારણે તંત્ર દ્વારા તમામ પ્રાઇવેટ સ્કૂલો ૨૫ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ચંદીગઢના સેકટર-16માં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટેમ્પરરી જેલ પણ બનાવવામાં આવી છે.
બાબા રામ રહીમ કોર્ટમાં 700 ગાડીઓના કાફલા સાથે પહોંચશે. કોર્ટમાં આવતા જતાં દરેક રસ્તાઓને સવારથી સીલ કરી દેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરની પાસે નાકા પર પોલીસની સાથે સૈનિક બળની ટુકડીઓ, ઘોડા પોલીસ દળ અને અન્ય આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોર્ટ પરિસરમાં 500 મીટર સુધી કોઇ પણ વ્યક્તિને જવાની મંજૂરી આપવામાં આવી નથી અ ઉપરાંત દરેક રસ્તાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઇન્ટરેન્ટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં પંચકૂલાથી આવતી જતી ટ્રેનો અને બસો પણ કાલ માટે બંધ કરી દેવામાં આવી છે. હરિયાણા સરકારે દરેક જિલ્લામાં 144 ધારા લાગૂ કરી દીધી છે.