Publish Date: Tue, 29 Oct 2024 (12:36 IST)
Updated Date: Tue, 29 Oct 2024 (12:38 IST)
Crowd on Railway Station- દેશમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસનો આરોપ છે કે દિવાળીના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે અને રેલવેતંત્ર યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે.
કૉંગ્રેસે સોશિયલ મીડિયા ઍક્સ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશનેથી બિહાર જઈ રહેલી ટ્રેનના ટૉઇલેટમાં આઠ મુસાફરો બેઠા છે. બધા તહેવારોમાં ઘરે જઈ રહ્યા છે. દિવાળી અને છઠના તહેવારો દરમિયાન સાત હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર હતી, તે ક્યાં છે?
પાર્ટીએ 51 સેકંડનો વધુ એક વીડિયો મૂક્યો હતો. જે સુરત રેલવે સ્ટેશનનો હતો. જેમાં તહેવારો દરમિયાન વતન જવા માગતા પરપ્રાંતીયોની ભીડ જોઈ શકાય છે. સાથે જ લખ્યું, 'રીલ મંત્રીજી, તમે દિવાળી અને છઠની શુભકામનાઓ પાઠવી દીધી, પરંતુ આમના માટે ટ્રેનની વ્યવસ્થા કોણ કરશે?'
ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે મુંબઈના બાંદ્રા સ્ટેશન ઉપર ટ્રેનમાં ચઢતી વખતે નાસભાગ થઈ હતી, જેમાં નવ લોકો ઘાયલ થયા હતા.
રેલવે દ્વારા દરવર્ષે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવે છે, છતાં સામાન્યતઃ આ પ્રકારની ભીડ જોવા મળે છે.