એરઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા રદ કરાઈ, મુસાફરોએ હોબાળો મચાવ્યો
Publish Date: Thu, 10 Oct 2019 (12:26 IST)
Updated Date: Thu, 10 Oct 2019 (12:32 IST)
એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ એઆઈ 171માં બુધવારે સવારે ટેક્નિકલ ખામી સર્જાતા રદ કરવાની ફરજ પડી હતી. ખામી તત્કાલ દૂર ન થતા 151 પેસેન્જરોને સવારે 10 વાગ્યા બાદ હોટલમાં ઉતારો આપ્યો હતો. એરલાઈન્સ દ્વારા સાંજે મુંબઈ અને દિલ્હીની કનેક્ટીંગ ફ્લાઈટ દ્વારા 100 જેટલા પેસેન્જરોને મોકલી આપવામાં આવ્યા હતા. અમદાવાદથી સવારે 4.55 વાગે લંડન જતી ફ્લાઈટ માટે પેસેન્જરો રાત્રે જ એરપોર્ટ પર આવી ગયા હતા. ફ્લાઈટ પણ નિયત સમય પ્રમાણે એરપોર્ટ પર આવી ગઈ હતી. એન્જિનિયરોએ ફ્લાઇટની તપાસ કરતા ટેકનિકલ ખામી જણાઈ હતી. ખામી તત્કાલ દૂર ન થતા કેટલાક પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને બીજી ફ્લાઇટની માગણી કરી હતી. ખામી દૂર ન થતા સવારે 10 વાગ્યા બાદ એરલાઈન્સે જે પેસેન્જરોને ઉતવાળ હોય તેવા 35 પેસેન્જરોને વાયા દિલ્હી થઈ તેમજ 50થી વધુ પેસેન્જરોને વાયા મુંબઈ થઈ લંડનની કનેક્ટિંગ ફ્લાઇટમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી આપી હતી. બાકીના પેસેન્જરોને ગુરુવારે સવારે 6 વાગે ઉપડનારી લંડનની આ જ ફ્લાઈટમાં મોકલવાની જાહેરાત કરી હતી. અમદાવાદના 10 જેટલા પેસેન્જરો ઘરે જતા રહ્યા હતા અને બાકીના 140 પેસેન્જરને એરપોર્ટ પાસેની હોટેલમાં મોકલાયા હતા. એરલાઈન્સે પેસેન્જરોને ચા-પાણી તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આગળનો લેખ