અમદાવાદ એરપોર્ટના નવા રન-વેના સમારકામ અને રિ-કાર્પેટિંગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. હવે તેને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટની રેગ્યુલર 24 કલાક મૂવમેન્ટ માટે ખુલ્લો મૂકાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું સંચાલન (ઓપરેશન અને મેનેજમેન્ટ) કરવા ખાનગી પાર્ટીઓ પાસેથી આવેદન (બીડ) મગાવવામાં આવ્યું છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ નવી દિલ્હી ખાતે સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ વિદેશની એરપોર્ટના સંચાલનમાં રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી નવેમ્બર પહેલા આવેદન મગાવવામાં આવ્યું છે. ઓથોરિટી દ્વારા અગાઉ પણ ત્રણ વાર પીપીપી ધોરણે અમદાવાદ સહિત અન્ય એરપોર્ટના સંચાલન માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી.મહાપાત્રાએ વધુમાં જણાવ્યું કે, પીપીપીની સંપૂર્ણ પ્રક્રિયા નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાશે. આ બન્ને એરપોર્ટ પર ખાનગી કંપનીને કામ સોંપ્યા બાદ તેના કેવા પરિણામો આવે છે તે જોયા બાદ અન્ય એરપોર્ટ પણ ખાનગી કંપનીને સોંપવા માટે વિચારણા કરવામાં આવશે. અમદાવાદ સહિત અન્ય 6 એરપોર્ટ ખાનગી કંપનીઓને સોંપવા માટે પહેલીવાર યુપીએ સરકાર દ્વારા પ્રક્રિયામાં અદાણી ગ્રૂપ, સદભાવના એન્જિનિયરિંગ, ટાટા રિયાલિટી, જીએમઆર, જીવીકે, એસ્સલ ગ્રૂપ જેવી કંપનીઓએ રસ દાખવ્યો હતો. નવેમ્બર 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરની મુલાકાત દરમિયાન અમદાવાદ અને જયપુર એરપોર્ટ મેનેજમેન્ટ માટે ચાંગી એરપોર્ટ ઓથોરિટી સાથે સમજૂતી કરી હતી.