ખીણ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી હિંસાના બનાવોને લઇને વણસેલી પરિસ્થિતિની વચ્ચે સ્થાનિક લોકો અને સુરક્ષા દળોની વચ્ચે થયેલી અથડામણમાં આજે વધુ એક યુવક અને પોલીસ કર્મીનું મોત થતાં અત્યાર સુધીના હિંસાના બનાવોમાં મરનારાની સંખ્યા 21 ઉપર પહોંચી છે જ્યારે આ ધટનાક્રમમાં 200થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, કાશ્મીરમાં ઉભી થયેલી પરિસ્થિતિને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રાજધાની દિલ્હી ખાતે એક તાકિદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બાદ ગૃહમંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ હાલ ખીણ પ્રદેશમાં પરિસ્થિતિ તણાવગ્રસ્ત છે
કાશ્મીરના લેફ્ટ. ગવર્નર ડેનિસ રાણાએ એક નિવેદન જારી કરતા કહ્યું છે કે, આઠથી 10 હજાર યાત્રાળુઓ ખીણ વિસ્તારમાં અમરનાથ યાત્રાએ આવતા ફસાયા છે અને પરિસ્થિતિ યથાવત ન થાય ત્યાં સુધી આ યાત્રાને સ્થગિત રાખવામાં આવશે. દરમિયાન ગૃહમંત્રીએ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે વાત કરી તેમને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે દરેક પ્રકારની મદદ કરવાની પણ ખાતરી આપી છે. કાશ્મીરમાં ગત શુક્રવારના રોજ બુરહાન વાનીના મોત બાદ શનિવારે તેની અંતિમ યાત્રાના સમયે 20000થી પણ વધુ લોકો એકઠા થયા હતા જ્યાં ભાગલાવાદી નેતાઓના આહવાન પર ઉત્તર કાશ્મીર, દક્ષિણ કાશ્મીર સહિતના અનેક વિસ્તારોમાં હિંસક બનાવો બનવા પામ્યા હતા જેને પગલે ખીણ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં કફ્ર્યુ લાદી દેવામાં આવ્યો હતો તેમજ ઇન્ટરનેટ સેવાઓ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આજે પુલવામા ખાતે આવેલા નેવામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવક ગંભીરરીતે ધાયલ થયો હતો. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં તેનું મોત થયું હતું. બીજી તરફ શનિવારે બનેલા હિંસાના બનાવોમાં ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોના રાત્રે મોત થતાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોના મોત નિપજ્યા છે.