Publish Date: Tue, 05 Sep 2023 (11:56 IST)
Updated Date: Tue, 05 Sep 2023 (14:55 IST)
Laxman Barot Died - ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. આજે વહેલી સવારે ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટનું 80 વર્ષની વયે અવસાન થતાં ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે, ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું.ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા.
ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ 'મોગલધામ' શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો. તેઓ અવારનવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. તેઓ પોતાના સૂરીલા અવાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. ભજનીક લક્ષ્મણ બારોટ અહી આશ્રમ બનાવ્યો હતો.