Publish Date: Sat, 01 Feb 2020 (13:12 IST)
Updated Date: Sat, 01 Feb 2020 (13:22 IST)
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં બેંકો માટે મોટી જાહેરાત કરી છે અને હવે જો કોઈ બેંક ડૂબી જાય તો તમને તમારા જમા કરાયેલા નાણાં પર એક લાખ રૂપિયાની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીનું રિફંડ મળશે.
આજે રજૂ થયેલા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેંકો માટે મોટી જાહેરાત કરી છે અને સરકારે સામાન્ય થાપણદારોને મોટી રાહત આપી છે. જે લોકો બેંકમાં ડૂબી જતા તેમની કુલ થાપણમાંથી માત્ર 1 લાખ રૂપિયા મળતા હતા, હવે તેમને 5 લાખ રૂપિયા મળશે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે સરકારે બેંકોમાં જમા કરાયેલા પૈસાના વીમામાં પાંચ ગણો વધારો કર્યો છે. સરકારે બેંક થાપણો પર ગેરંટી વધારીને બેંક થાપણોનો વીમો 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કર્યો છે.
સરકારે બેંકો માટે એક મિકેનિઝમની પણ જાહેરાત કરી છે. બેંકો માટે બનાવાયેલ મિકેનિઝમ અંતર્ગત દેશની બેંકો માટે બજેટમાં 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય
સરકાર આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો વેચશે અને તેનો એક ભાગ ખાનગી રોકાણકારોને વેચવામાં આવશે.
આ સિવાય સરકારે એલઆઈસીનો આઈપીઓ જાહેર કર્યો છે.
બેંકોના એનપીએ આ સમયે ખૂબ ચિંતાનો વિષય છે. જોકે, બેન્કોની એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ) છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 8.5 લાખ કરોડ થઈ ગઈ છે, પરંતુ હજી પણ ભારત જેવા અર્થતંત્રની દ્રષ્ટિએ તે ખૂબ ઉંચું છે. આ વખતે બજેટમાં એનપીએ સાથે વ્યવહાર કરવા બેંકોને રાહત આપવા કેટલીક સૂચનાઓ આપવામાં આવી નથી.