Publish Date: Mon, 24 Oct 2016 (12:54 IST)
Updated Date: Mon, 24 Oct 2016 (12:57 IST)
અમદાવાદમાં રમાયેલી કબડ્ડી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે કટ્ટર હરીફ ઇરાનને હરાવ્યુ ત્યારે આખા દેશની સાથે વિજાપુરના હાથીપુરા ગામે પણ ઉત્સાહભર ગૌરવની અનૂભુતિ કરી હતી. કારણે કે, ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવનારી કબડ્ડીની ટીમનો એક ખેલાડી કિરણ પરમાર હતો અને તે હાથીપુરાનો વતની છે. રવિવારે તેનું હાથીપુરામાં સન્માન કરાયુ ત્યારે કબડ્ડી જેવી રમતો પૂનર્જીવિત થઇ રહી હોવાનો સંતોષ તેણે વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના સેનેટરી વિભાગમાં નોકરી કરતા લક્ષ્મણભાઇ પરમારના ત્રણ સંતાનોમાંથી સૌથી નાના પૂત્ર કિરણે ધો. 12 સુધીનો અભ્યાસ કરીને પોસ્ટલ વિભાગમાં નોકરી કરતા કરતા કબડ્ડીનો પોતાનો શોખ જાળવી રાખ્યો હતો અને તેના પિતા પણ તેના શોખને પોષતા હતાં. કિરણ પરમારની આ મહેનત રંગ લાવી અને વર્લ્ડ કપની મેચમાં પણ તેનું સિલેક્શન થયુ હતુ.
અમદાવાદની ધરતી પર ઇરાનને હરાવીને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યુ એ બાબતને અત્યંત ગૌરવવંતી જણાવીને કિરણ પરમારે કહ્યું કે, કબડ્ડી ભારતની પરંપરાગત રમત છે અને ગુજરાતની તો મુખ્ય રમતોમાંની એક છે. આવી રમતો પૂનર્જીવિત થઇ રહી છે તે ખુબ જ સારી બાબત ગણાય. ક્રિકેટ, ફુટબોલ અને બેડમિન્ટન જેવી રમતોની સાથોસાથ હવે કબડ્ડીમાં પણ ભારતે કૌવત દાખવતા લોકોનો રસ પૂન: જાગૃત થશે. શરીરને મજબૂત બનાવતી આવી રમતો પ્રત્યે લોકરસ કેળવવા માંડ્યો છે.
કિરણ પરમાર વિજાપુરના હાથીપુરા ગામનો વતની હોવાથી શનિવારે વર્લ્ડકપ જીત્યા બાદ રવિવારે તે હાથીપુરા આવ્યો હતો. અહીંયા ખત્રીપુરા પાસે આવેલા બ્રહ્માણી માતાજીના તેણે દર્શન કર્યા હતાં. ત્યાર બાદ, ગ્રામજનોએ તેનુ સન્માન કર્યું હતું.