Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Russia's military action in Ukraine : નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત, અત્યાર સુધી શું -શું થયું?

Russia's military action in Ukraine : નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ફોન પર વાતચીત, અત્યાર સુધી શું -શું થયું?
, ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (23:47 IST)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર રશિયાએ દક્ષિણમાં પોતાના પાડોશી દેશ યુક્રેન પર મોટા પાયે સૈન્ય હુમલો શરૂ કર્યો છે.
આખા દિવસમાં ખૂબ ઝડપથી ઘટનાક્રમ બદલાતો રહ્યો અને ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન સામે સૈન્યઅભિયાન સિવાય કોઈ વિકલ્પ નહોતો. અને બીજી બાજુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
 
રિપોર્ટ્સ અનુસાર રશિયાએ પોતાના હુમલામાં યુક્રેનના સંપૂર્ણ સૈન્ય મૂળભૂત માળખાને નિશાન બનાવ્યું છે. સાથે જ રશિયન સેના બધી શક્ય દિશાઓથી યુક્રેનમાં પ્રવેશ કરી રહી છે.
 
ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની સુરક્ષા માટે તેમની પાસે યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્યઅભિયાનના આદેશ આપવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.
 
સમાચાર એજન્સી એફપી અનુસાર પુતિને એ પણ કહ્યું કે રશિયા વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી કરવા માગતું નથી.
 
તો રૉયટર્સ અનુસાર પુતિને કહ્યું કે રશિયાએ પૂરી કોશિશ કરી હતી પણ તેમની કોશિશોનું કોઈ પરિણામ ન આવ્યું.
 
તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે યુક્રેન પર હુમલાથી જે તબાહી થશે અને તેને કારણે જે જીવ જશે તેના માટે માત્ર રશિયા જવાબદાર હશે.
 
નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ટેલિફોન પર વાતચીત
 
યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, એવામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હોવાનું પીએમઓ દ્વારા જાણવા મળ્યું છે.
 
આ વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાનને યુક્રેન અંગેની તાજેતરની સ્થિતિની જાણકારી આપી હતી.
 
વડા પ્રધાન મોદીએ રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર પ્રામાણિક અને નિષ્ઠાવાન વાતચીત દ્વારા જ ઉકેલી શકાય એમ કહ્યું હતું.
 
વડા પ્રધાન મોદીએ તાત્કાલિક હિંસા બંધ કરવાની અપીલ પણ કરી હતી અને રાજદ્વારી વાટાઘાટ અને સંવાદના માર્ગે પાછા ફરવા માટે તમામ પક્ષોથી નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.
 
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સવારે એક ટેલિવિઝન સ્પીચમાં રશિયન નાગરિકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે રશિયાનું યુક્રેન પર કબજો કરવાનું કોઈ આયોજન નથી.
 
તેમણે એક વિશેષ સૈન્યકાર્યવાહીની જાહેરાત કરતાં કહ્યું હતું કે યુક્રેનનાં લોકોને દેશ કોણ ચલાવશે તેની મુક્તપણે પસંદગી કરવાનો અધિકાર મળવો જોઈએ.
 
આ ટેલિવિઝન પર સ્પીચ દરમિયાન પુતિને યુક્રેનિયન સૈનિકોને આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.
 
આ સાથે પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે લોહિયાળ પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર રહેશે.
 
ગુરુવારના દિવસે યુક્રેનનાં અનેક ઠેકાણે બૉમ્બમારાના સમાચાર આવ્યા હતા.
 
પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તાર દોનેત્સ્કમાં એક મોટા બ્લાસ્ટનો અવાજ સાંભળવામાં આવ્યો હતો.
 
જ્યારે સમાચાર એજન્સી રૉયટર્સે એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ રશિયામાં આવેલા બેલોગોરોડ પ્રાંતમાં પણ એક મોટા ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો.
 
આ પ્રાંત રશિયા-યુક્રેન બૉર્ડરની એકદમ નજીકમાં જ આવેલો છે. રાજધાની કિવમાં પણ વિસ્ફોટનો અવાજ સંભળાયા હોવાના સમાચાર આવ્યા હતા.
 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પુષ્ટિ કરી કે રશિયાએ યુક્રેન પર મિસાઇલ હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમાસુરક્ષાબળો પર આ હુમલા કર્યા છે.
 
યુક્રેનમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો.
 
હુમલો ક્યાં થયો?
 
યુક્રેનના રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે રશિયા યુક્રેનિયન સેનાના મૂળભૂત સૈનિક માળખાને નિશાન બનાવી રહ્યું છે અને તેની સરહદ પર તહેનાત યુનિટો સહિત હુમલા ક્યાં-ક્યાં થયા.
 
અધિકારીઓનું કહેવું છે કે યુક્રેનની રાજધાની કિવ સિવાય નિપ્રો અને ખાર્કિવમાં સેના મુખ્યાલયો, ઍરસ્ટ્રિપ અને સૈન્ય વૅરહાઉસ પર હુમલા કરાયા.
 
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ તેમની સરહદ પર લગભગ બે લાખ સૈનિકો અને હજારો બખ્તરબંધ વાહનો તહેનાત કર્યાં છે.
 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ ટ્વીટ કરીને દાવો કર્યો કે રશિયાની સેના ચેર્નોબિલ પરમાણુ સંયંત્રને કબજે કરવાનો પ્રયત્ન કરી રહી છે.
 
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે અમારા સૈનિકો 1986ની વિનાશક ઘટના ફરી ન બને તે માટે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સ્વિડનના વડા પ્રધાનને અમે જાણ કરી છે. આ આખા યુરોપ સામે યુદ્ધનું એલાન છે.
 
સોવિયેટ સંઘના જમાનામાં વર્ષ 1986માં ચેર્નોબિલમાં માનવ ઇતિહાસનો સૌથી મોટી પરમાણુ દુર્ઘટના બની હતી. 26 એપ્રિલ 1986ના એક ન્યૂક્લિયર રિએક્ટરમાં ધડાકો થયો હતો અને ખતરનાક રેડિયોઍક્ટિવ ગૅસ આખા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
 
આ દુર્ઘટનાને કારણે હજારો લોકો કૅન્સરનો ભોગ બન્યા હતા. એક વખત મોટી વસતીવાળું શહેર વેરાન બની ગયું હતું.
 
દુર્ઘટનાને કારણે ચેર્નોબિલના ન્યૂક્લિયર પ્લાન્ટની આસપાસની 2,600 ચોરસ કિલોમિટર જમીન પર માણસોના આવનજાવન પર રોક લગાવવામાં આવી હતી
 
ભારતના વિદેશ સચિવે કહ્યું કે યુક્રેનમાં 20 હજાર ભારતીય, પરિસ્થિતિ મુજબ પગલાં લેવાયાં
 
 
ભારતના વિદેશ સચિવે હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે યુક્રેનમાં 20 હજાર ભારતીય હાજર છે અને ભારતે યુક્રેનની પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લીધાં છે.
 
તેમણે કહ્યું કે યુક્રેનમાં ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લેવામાં આવ્યાં, જેમાં ત્યાં રહેતા ભારતીય નાગરિકોનું પંજીકરણ પણ સામેલ છે.
 
શ્રૃંગલાએ કહ્યુંકે આ કામ એક મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું. ઑનલાઇન પંજીકરણથી જાણી શકાય કે યુક્રેનમાં 20 હજાર ભારતીયો રહે છે.
 
તેમણે કહ્યુંકે ગત કેટલાક દિવસોમાં 4,000 ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હીસ્થિત વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમથી 980 કૉલ્સ અને 850 ઇમેલ મળ્યા છે.
 
આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસ પોતાનું કામ ચાલુ રાખશે.
 
તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય અધિકારીઓને યુક્રેનની નજીક આવેલા દેશોમાં મોકલાયા છે.
 
આ અધિકારી રશિયન ભાષા બોલે છે જેથી આ કારણે તેમને પરેશાન નહીં થવું પડે. આમાંથી કેટલાક અધિકારી ત્યાં પહોંચી ગયા છે.
 
યુક્રેન, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગરીમાં હાજર ભારતીય રાજદૂતોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીયોને આ દેશોમાં પ્રવેશ અપાવે જેથી તેમને ભારત લાવી શકાય.
 
બિનનિવાસી ગુજરાત વિભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
 
ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.
 
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર [email protected] મેઈલ કરી શકાશે.
 
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે.
 
અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.
 
હજારોની તહેનાતી અને મૃત્યુના સમાચાર
 
ટૅન્ક અને બખ્તરબંધ ગાડીઓ લઈને રશિયન સેનાએ યુક્રેનમાં પ્રવેશ કર્યો હતો. રશિયા, બેલારુસ અને ક્રિમિયામાંથી રશિયાની સેનાએ યુક્રેનમાં પ્રેવશ કર્યો હતો.
 
યુક્રેનની બૉર્ડર ગાર્ડ સર્વિસ (ડીપીએસયૂ)એ જણાવ્યું કે રશિયાના સૈન્યદળો બેલારુસથી યુક્રેનના ઉત્તરમાં સ્થિત ચેર્નિહાઇવ વિસ્તારમાં અને રશિયાથી સુમી વિસ્તારમાં ધૂસી ગયા છે.
 
બેલારુસ લાંબા સમયથી રશિયાનું સહયોગી રહ્યું છે. વિશ્લેષકો તેને રશિયાનો 'ક્લાઇન્ટ દેશ' ગણાવે છે.
 
લુહાન્સ્ક અને ખાર્વિક સાથે ક્રિમિયાના ખેલસન વિસ્તારમાં પણ રશિયા સૈન્યદળો પહોંચી ગયાં છે. ડીપીએસયૂએ જણાવ્યું હતું કે રશિયાએ સૌથી પહેલાં પોતાની ટૅન્ક્સથી હુમલો કર્યો જેમાં બૉર્ડર ગાર્ડ્સ ઈજાગ્રસ્ત થયા.
 
એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે દક્ષિણ બંદરગાહ શહેર ઓડેસા પાસે પણ રશિયન દળો જોવાં મળ્યાં. યુક્રેનના અનેક શહેરોમાં હુમલામાં નાગરિકોનાં મૃત્યુ થયાંના સમાચાર આવ્યા.
 
યુક્રેનની પોલીસે દાવો કર્યો છે રશિયાના બૉમ્બમારામાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. યુક્રેન પોલીસે જણાવ્યું કે રશિયન સેના દ્વારા કરવામાં આવેલા બૉમ્બિંગમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અધિકારીઓએ કહ્યું કે ઓડેસાની બહાર પોડિલસ્કમાં સૈન્ય ઠેકાણે હુમલો થયો હતો જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
19 લોકો હજી લાપતા છે. અને મારિયુપોલ શહેરમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
 
શું છે આંતતરાષ્ટ્રીય પ્રતિક્રિયા
 
યુક્રેનના પશ્ચિમ સહયોગી દેશો પહેલાં સતત ચેતવણી આપી કે રશિયા હુમલો કરવા માટે તૈયાર છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ પોતાના સહયોગીઓ સાથે નિર્ણાયક જવાબ આપશે. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેન પર અકારણ હુમલો કર્યો છે.
 
રશિયાના આક્રમણને 'હુમલો' ગણવાનો ચીનનો ઇન્કાર
 
ચીને યુક્રેનમાં રશિયાની સૈનિક કાર્યવાહીને હુમલો માનવાનો ઇનકાર કરી દીધો છે.
 
ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે યુક્રેનનો મુદ્દો જટિલ છે અને આની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. તેમણે કહ્યું કે આ સંકટ કેટલાક તથ્યોનું પરિણામ છે.
 
નિયમિત પ્રેસ બ્રીફિંગમાં ચુનયિંગે કહ્યું, " કદાચ આ ચીન અને તમે પશ્ચિમના લોકો વચ્ચે એક અંતર છે. અમે કોઈ પણ નિષ્કર્ષ પર ઉતાવળમાં નથી પર પહોંચતા. આ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ સાથે વાત કરી છે. વાંગ યીએ કહ્યું કે ચીન હંમેશાં જ બધા દેશોની અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરે છે.
 
તેમણે કહ્યું કે યુક્રેનનો મુદ્દો જટિલ છે અને ચીન રશિયાની વાજબી સુરક્ષા સંબંધિત ચિંતાઓને સમજે છે. ચીનનું એ પણ કહેવું છે કે તે યુક્રેનની ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.
 
ચીને સંબંધિત પક્ષોને સંયમથી કામ લેવાની અપીલ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 ફેબ્રુઆરીનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે