Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26મી જાન્યુઆરી વિશેષ : જ્યારે બાપુ બોલ્યા...

26મી જાન્યુઆરી વિશેષ : જ્યારે બાપુ બોલ્યા...
P.R
ગાંધીજીની છબીવાળી ટપાલટિકિટની પછવાડે
મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા:
‘અરે, અરે! પાણીને બદલે થૂંક?’
‘ઓહો, બાપુ આ તમે બોલ્યા?

આટલા વર્ષે?’ મેં પૂછ્યું.
‘ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું?’ બાપુએ પૂછ્યું.
‘પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.

અહીં ભલભલી મૂછોનાં પાણીયે સૂકાઈ ગયાં છે.
લોકો પાણીની અવેજીમાં
થૂંક વાપરીને
લાખો ગેલન પાણીની બચત કરે છે.’ મેં બચાવ કર્યો.

‘તારા વચનોમાં
ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ આવે છે, ગોબરા!
લાપસીમાં ઘી નખાય, ઘાસલેટ નહીં.’ બાપુ તાડૂક્યા.
‘તમે મને ગોબરો કહો છો, પણ બાપુ!
પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.

‘દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ
મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે -
તેની જાહેરાત છે! વાસ્તવમાં ટપાલખાતું તો મારું
બ્યુટીપાર્લર છે, જ્યાં મારા ચહેરાની બ્યુટીટ્રીટમેન્ટ થાય છે!’
બાપુએ ડિસ્કો-હાસ્ય કર્યું.

‘બાપુ, વાતને આમ હસવામાં કાઢી નાખો મા.’ મેં નારાજીથી કહ્યું.
‘ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો ઉપાય ન જડે
ત્યારે બધું હસી કાઢવું.’ બાપુ ગંભીર થઈ ગયા. બોલ્યા:
‘જો, રોજરોજ સંદેશાની રાહ જોતાં પ્રેમીજનોને, સીમાડાની
રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને,
સંતાનવિયોગે ઝૂરતાં મા-બાપોને હું સુખની ચબરખીઓ વ્હેચું છું -
ટપાલટિકિટમાં બેસીને.

મારા મૃત્યુ પછી પણ મારું જીવનકાર્ય - મનુષ્યને
મનુષ્ય સાથે જોડવાનું - અટક્યું નથી.
મારા મોં ઉપર પડતા રદ્દીકરણનાં કાળા થપ્પાઓ તો
કાળાં કાળાં ચુંબનો છે, મારા વહાલીડાઓનાં!
મારી યત્કિંચિત સેવાનો બદલો!’ બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’

- રમેશ પારેખ


webdunia
N.D
આપણે ત્યાં એક એવા જીવતીવાર્તા સમાન વ્યક્તિ થયા કે જેઓ એ આખાય ભારત પર પોતાની અસર છોડી તે એટલે મહાત્મા ગાંધી. તેમના વિષે આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું હતુ કે આવો હાડ-ચામનો માણસ હતો, આ વાત આવનારી પેઢી સાચુ નહીં માને. તેમની પ્રચંડ અસરમાંથી કોઈ બાકાત રહી શક્યુ નથી.

અહીં એક કવિ જ્યારે ગાંઘીગીરી પર ઉતરે ત્યારે શુ થાય તે અહીં અનુભવવા જેવુ છે. કારણકે આ માત્ર શબ્દો નથી પણ સામાન્ય માનવી અને ગાંઘીજીનો તીવ્ર સંવાદ છે.

આપણે વાત-વાતમાં કહીએ છીએ કે જો ગાંધી હોત તો.... આજના આ સમયમાં ગાંઘી આજે ફેશન થઈ છે ત્યારે ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા વાતને કવિએ તીવ્રતાથી આપણી સમક્ષ મુકી આપી છે. કવિ આપણો જ પ્રતિનિધિ છે માટે તે પોતાના વિચારો અને આજની હાલત કહે છે.

પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.
અહીં ભલભલી મૂછોનાં પાણીયે સૂકાઈ ગયાં છે.

લોકોમાં અવાજ ઉપાડવાની તાકાત રહી નથી આજે ગાંઘીની જરૂર છે એવું સૌને લાગે છે પણ તેના વિચારો ભુલાતા રહ્યા છે. એક બીજા પર આક્ષેપોનો ટોપલો લઈને ચાલનારા આપણે સૌ મૂળ વાતને ભુલી જઈએ છીએ. બોલનારનો તોટો નથી અને કરનારો કોઈ જડતો નથી.

પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.

ગાંઘી વિચારો આપણને યોગ્ય સમયે જ આવે છે. તેનુ કારણ કે આપણે તેટલી આઝાદી ભોગવી રહ્યા છીએ કે આપણને આપણો ભુતકાળ યાદ રહેતો નથી. છતાં તેઓ તેમની સાદાય છોડતા નથી અને વાતને હસવામાં કાઢી નાખે છે. અહીં “ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ” એ વાસ્તવની ભૂમિ પર ઉભા રહીને ગાંધી બોલી રહ્યા છે અને વેદનાને આકાર આપી રહ્યા છે, અનશન, સત્યાગ્રહ, સદ્-ભાવના, ઊપવાસ જેવા હથિયારોની અસર રહી નથી. પરંતુ અહીં કવિએ ગાંધીવિચારોને પત્રના આધારે વેચ્યા છે.. કે પહેલા અને આજે તેઓનું કામ જીવંત છે સતત અને સધન રીતે. તેમના વિચારો આજે પણ લોકોને જોડતા રહે છે. ભારત બહાર તેમની હયાતી આજે પણ છે, આજે અનેક માઘ્યમોથી તેમને જનમાનસ સુધી તેઓ પહોંચી રહ્યા છે. આપણે ત્યાં મોહન અને મહાત્માને લોકો પોતાની રીતે જ સમજ્યા અને સમજાવ્યા છે તેના વિચારોનું ઉંડાણ રહ્યુ નથી. આજે બધાંને જોવા માટે જાય છે પણ તેની અંદરનો ગાંધી મુંજાય છે ત્યારે તેમના કરેલા કર્મયોગ માંથી

બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’

ગાંધી એક એવી આંધી હતી કે જેનાથી અંગ્રેજો ભારત છોડીને ભાગી ગયા. ગાંધીના વિચારો અને ગાંધી ચિંધ્યો માર્ગ પણ એટલા જ અસરકારક છે. ભ્રષ્ટાચારની સામેની દેશમાં ચાલેલી અણ્ણાની આંધી પાછળ પણ ગાંધી ચિંધ્યો માર્ગ અને ગાંધીના વિચાર હતા. એપ્રિલ માસમાં જ્યારે અણ્ણાને દેશના બીજા ગાંધી ગણાવીને અનશન માટે જંતર-મંતર ખાતે ઉતારાયા ત્યારે પણ લોકોને તેમનામાં ઘણી આશા હતી. ઓગસ્ટમાં રામલીલા મેદાન પરથી ઉભી થયેલી અણ્ણા ઈફેક્ટ આખા દેશે અનુભવી છે. જો કે મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં મીઠી નદીના કિનારે અણ્ણાનો જાદૂ ઓસરી ગયેલો લાગ્યો.

પરંતુ તેની પાછળના કારણોનું ચિંતાપ્રેરક નહીં, પણ ચિંતનપ્રેરક છે. મોહને મહાભારતના હિંસક યુદ્ધમાં ભીષ્મ સામે રથનું પૈડું ઉગામવા સિવાય કોઈ હિંસા કરી ન હતી. તો મહાત્મા ગાંધીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાભારતમાં કોઈને હિંસક થવા દીધા ન હતા. ભારતના લોકોને ગાંધી પાસે હજીપણ ઘણી મોટી આશા છે. પરંતુ ગાંધી જેવી આંધી ઉભી કરનારા લોકો જ્યારે તેમના વિચારની કાંતિને ચમકાવી શકતા નથી, ત્યારે તેઓ અસફળ થાય છે. અણ્ણા ઈફેક્ટના અત્યારે દેખીતા વળતા પ્રવાહો તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. પણ તેમ છતાં હજી ભારતને ગાંધીનો ઈન્તજાર છે.

Share this Story:

Follow Webdunia gujarati