Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયારે વઘુ પડતી અસલામતી અને ડર વ્યક્તિમાં ઉદભવે ત્યારે તૅ અંધશ્રદ્ધાના માર્ગે દોરાતો હોય છે. ડો.યોગેશ જોગસણ

વેક્સિનેશન ન કરાવવા પાછળ પણ 36% અંધશ્રદ્ધા જવાબદાર.

જયારે વઘુ પડતી અસલામતી અને ડર વ્યક્તિમાં ઉદભવે ત્યારે તૅ અંધશ્રદ્ધાના માર્ગે દોરાતો હોય છે. ડો.યોગેશ જોગસણ
, મંગળવાર, 8 જૂન 2021 (17:35 IST)
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડૉ.હસમુખ ચાવડાએ સર્વે કર્યો.  1620 લોકો પાસેથી માહિતી ને આધારે  તારણ કાઢ્યા. જેમા 54.80% ગ્રામ્ય વિસ્તારના અને 45.20% લોકો શહેરી વિસ્તારના હતા. 
 
પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36% અંધશ્રદ્ધા વધી.     

 *તમે પહેલા દોરા, ધાગા કે અન્ય બાબતો માં માનતા ન  હોવ અને કોરોના દરમ્યાન એવું કરાવ્યું હોય તેવું બન્યું છે?
  27%  એ સ્વીકાર્યું કે પહેલા નહોતા માનતા પણ કોરોના એ એવું માનવામાં મજબુર કર્યા.. 
*દોરા,  ધાગા,  માનતા કે ભુવાથી કોરાના મટી શકે? 
45% એ સ્વીકાર્યું કે હા અમે માનીએ છીએ કે તેનાથી કોરોના મટી શકે છે.
* 60.30% લોકોએ કહ્યું કે ઘરના સભ્યો માંદા પડ્યા ત્યારે અમે ભુવા પાસે ગયા હતા. 
* ગ્રામ્ય વિસ્તારમાં 81.10 % લોકો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડીત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે તેવુ માને છે. 
* 45.30% લોકોએ જણાવ્યું કે ડામ દેવાથી, માનતા માનવાથી કે ભુવા પાસે  દાણા જોવડાવવાથી બિમારી દુર થઇ જાય છે. 
ગામડાના 93.50% લોકોએ જણાવ્યું કે અમને કે અમારા પરિવારને કોરોના ન થાય તે માટે અમે માનતા રાખેલ છે અને પુજાવિધિઓ પણ કરાવેલ છે 
* 27.70% લોકોએ જણાવ્યુ કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ છે. 
 
વેક્સિનેશન ન કરાવવા પાછળ પણ 36% અંધશ્રદ્ધા જવાબદાર. 

ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરતા, મુલાકાત કરતા મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા વેક્સિન ન લેવામાં મૂળભૂત કારણ દેખાયું અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન સમજી લેવા જેવું છે. ચોથા ધોરણમાં ચાર વાર નાપાસ થયેલા ડફોળને પણ એવું સાંભળવાનું જ વધુ ગમે છે કે, ‘તું ડફોળ નથી ખૂબ હોંશિયાર છે… પણ તારી ગ્રહદશા ખરાબ છે.  એથી નસીબ તને સાથ  નથી આપતું…!’ આવી વાત તેના ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય છે. અને તે ગુરુનો પરમ ભક્ત બની જાય છે. આવી માનસિક્તા પાછળનું મનોવિજ્ઞાન એ છે કે ભણવામાં વઘુ મહેનત કરવી પડતી હોય છે અને આજકાલ લોકોને વગર મહેનતે આસાનીથી બધું મેળવવું હોય છે.  ગુરુ,  ભુવાજી કે બાવાની ભક્તિ કરવામાં ઓછી મહેનત પડે છે. ‘તું મહેનત કરીશ તો પાસ થઈ જઈશ…!’ એવો આશીર્વાદ ખુદ ભગવાન આપે તો પણ માણસને તેમાં મજા આવતી નથી. આપણને તો વિના મહેનતનું જોઈએ છે જે ચમત્કારોથી જ પ્રાપ્ત થઈ શકે.   


દેશના અબજો લોકોની કરોડો ટન અંધશ્રદ્ધા ખભેખભા મિલાવીને કામે લાગે છે     ત્યારે સમાજમાં અંધશ્રદ્ધાનું અભ્યારણ્ય રચાય છે.  
 
આપણે જાણીએ છીએ કે જેમ જેમ કોરોના મહામારીમા વધારો થયો તેમ તેમ લોકામા પડેલી અંધશ્રદ્ધાઓ પણ બહાર આવવા લાગી. રોગચાળા દરમિયાન ધાર્મિક માન્યતાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસ - ખાસ કરીને ભુવા, તાંત્રિક કે તેની સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવતા હોય છે.  શ્રધાને લીધે દેવને નામે બેસાડેલી મૂર્તિ, સમાધિ, પાદુકાઓમાં પણ દિવ્ય તત્વ પ્રતિષ્ઠિત કરવામાં આવે. આ બધામાં શ્રદ્ધા રાખવાથી નિરાધાર લોકોને કંઇક માનસિક આધાર મળે છે. આ રીતે પછી, વ્યક્તિગત માન્યતાઓ અને અનુભવો અંધશ્રદ્ધાઓને દોરે છે અને ઘણીવાર વર્તમાન વૈજ્ઞાનિક બાબતોનો પણ વિરોધ કરે છે.
 
આવી અંધ્ધશ્રદ્ધા કઈ રીતે ફેલાય છે તેનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ. માની લો કે કોઈ વ્યક્તિ ડાકણ કે ચુડેલનો કોપ છે તેનું નિવારણ કરવા માટે ભુવા,  ફકીર કે બાવા પાસે જાય છે એટલે આ લોકો તેને દોરો - તાવીજ કે ભભૂત આપશે અને કહેશે કે માતાજીની આડી બાંધી દીધી છે,  તમને 15 દિવસમાં 100% સારુ થઇ જશે. વાસ્તવિકતા એ હોય છે કે ઘણી બીમારી ટૂંકાગાળાની અને માનસિક હોય છે જેમાં મેડિકલ સારવારની જરૂર હોતી નથી માટે સારુ થઇ જાય છે. હવે માની લો કે યોગાનુયોગ 5 વ્યક્તિને સારુ થઇ ગયું તો તૅ લોકો બીજા 500 વ્યક્તિને ત્યાં જવાની સલાહ આપશે અને અંધશ્રદ્ધા આગળ ફેલાશે.. ડૉ. યોગેશ જોગસન,  અધ્યક્ષ,  મનોવિજ્ઞાન ભવન....                       
 
શ્રદ્ધાના નામે ઘણીવાર અનેક પશુઓનો ભોગ લેવામાં આવે છે, આ વાત માત્ર પશુ પુરતી મર્યાદિત નથી ઘણીવાર માણસની પણ શ્રધ્ધાના નામ પર બલીઓ ચડાવવામાં આવે છે તેવા દાખલાઓ અનેકવાર આપણી સમક્ષ આવી ગયા છે. 
 
જોકે અંધશ્રદ્ધાની કોઈ એક વ્યાખ્યા નથી, તેનો અર્થ સામાન્ય રીતે અલૌકિક શક્તિઓમાંની માન્યતા - જેમ કે ભાગ્ય - અણધારી પરિબળોને પ્રભાવિત કરવાની ઇચ્છા અને અનિશ્ચિતતા દૂર કરવાની જરૂરિયાત છે.
 
અંધશ્રદ્ધા એ લાંબા સમયથી ચાલતી માન્યતાઓ છે જે તર્ક અથવા તથ્યોને બદલે સંયોગ અથવા સાંસ્કૃતિક પરંપરામાં મૂળ હોવાનું જણાય છે.
 
અંધશ્રદ્ધા ઘણીવાર મૂર્તિપૂજક માન્યતાઓ અથવા ધાર્મિક વ્યવહાર સાથે જોડાયેલી હોય છે જે ભૂતકાળમાં વ્યાપક હતી. અંધશ્રદ્ધાળુ માન્યતાઓ અને વ્યવહાર ઘણીવાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા એક સંસ્કૃતિથી બીજામાં બદલાય છે.
 
ભારતમાં અંધશ્રદ્ધાળુ માન્યતાઓના સામાન્ય ઉદાહરણોમાં શામેલ છે: એક કાળી બિલાડી રસ્તાને ઓળંગે છે તે કમનસીબનું પ્રતીક છે, કાગડો સંકેત આપે છે કે મહેમાનો આવશે અને ખંજવાળની ​​હથેળીનો અર્થ છે કે પૈસા તમારી પાસે આવી રહ્યા છે. અને હાલમા કોરોનાને દૈવીય પ્રકોપ માનવામાં આવી રહ્યો છે જેના કારણે લોકો પૂજા પાઠ, હોમ-હવનો તથા વ્રત ઉપવાસો કરી દૈવીય પ્રકોપને ઓછો કરવા માટે અવનવા નુસખાઓ કરી રહ્યા છે. આવા અઢળક કિસ્સાઓ અાપણને સમાજમા વારંવાર જોવા મળી રહ્યાં છે. 
 
કિસ્સાઓ
 
1. અમદાવાદ નજીકના પલોડિયા ગામે સેંકડો મહિલાઓ બેડા લઇને નીકળી
 
2. દાહોદના ગામડાઓની બહેનોએ 7 દિવસ ઉપવાસ કર્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી  કોરોના વાઈરસ આ દુનિયામાંથી જતો રહે તેવી પ્રાર્થનાઓ કરે છે
 
3. અમદાવાદના શીલજમાં આવેલા પલોડિયા ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા નીકળી હતી. જેમાં વિધિ દરમિયાન એકપણ મહિલાએ માસ્ક સુદ્ધા પહેર્યું ન હતું.
 
4. સાણંદ જેવો જ કિસ્સો ગાંધીનગરના રાયપુર ગામમાં બન્યો.જેમાં ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઢોલ, નગારા સાથે બળિયાદેવના મંદિરે પહોંચ્યા હતાં. આ સભામાં પણ કોરોના ગાઇડ લાઇનનો ફજેતો જ જોવા મળ્યો. 
 
5. મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છએ દુનિયાને અલવિદા કહી હતી. પરિવારના સભ્યો દ્વારા લોકો વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને દફનવિધિમાં ન જોડાય પણ લોકલાગણી એવી ઉમટી કે 300 થી 400 લોકોનો સમૂહ દફનવિધિમાં જોડાયો અને કોરોના ગાઇડલાઇનના છડે ચોક લીરા ઉડતા જોવા મળ્યા હતાં.
 
6. પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના
 
7. રાજકોટ શહેરથી ૧૬ કિમિ દૂર રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલ પારડી ગામમાં લોકોએ કોરોના ભગાડવા માટે શેરી પર શ્રીફળના તોરણ બાંધ્યા છે. પારડી, પરવલા અને ગાઢા  ગામમાં જે લોકો દ્વારા શ્રીફળ બાંધવામાં આવ્યા છે તે  સમાજના લોકોને તેમના પીર પર શ્રદ્ધા છે કે આ પ્રકારના તોરણ બાંધવામાં આવે તો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થતા નથી.
 
8. બનાસકાંઠા: અંધશ્રદ્ધાની હદ, માસૂમને તાવ મટાડવા આપ્યા ડામ, બાળકનું મોત
 
9. સૂર્યગ્રહણ દરમિયાન દક્ષિણ ભારતમાં કેટલાંક સ્થળે દિવ્યાંગ બાળકોને ગરદન સુધી રેતીમાં દાટવામાં આવ્યાં હતાં.
 
10. રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના એક ગામમા એક બાળકનુ શરીર ધડથી અલગ કરવામાં આવ્યું અને તેનું જુલુશ પણ કાઢવામાં આવ્યું. 
 
અંધશ્રદ્ધા પાછળના કારણો :
 
* અજ્ઞાનતા
* નિમ્ન આર્થિક દરજ્જો 
* માહિતીનો અભાવ
* સામાજીકરણ
* ખોટા પ્રચાર પ્રસારો
* શિક્ષણનો અભાવ
* રૂઢિગત માન્યતાઓ
* અનુકરણ
* પરંપરા અને લોકરીતિઓ
* સંસ્કૃતિગત માન્યતાઓ
 
અંધશ્રદ્ધાને ઓછી કરવાના ઉપાયો:
અંધશ્રદ્ધા સમાજ માટે કેન્સર સમાન છે, અંધશ્રદ્ધાના મૂળ સામાજિક અજ્ઞાનતામા રહેલા છે, અંધશ્રદ્ધા એક દુષણ છે આપણે તેનો નાશ કરવો જ પડશે. 
 
* અંધશ્રદ્ધા ફેલાવનાર પ્રત્યે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ 
* અંધશ્રદ્ધા બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવા જોઇએ 
* આવુ કૃત્ય થતુ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી
* શિક્ષણનુ પ્રમાણ વધારવું નિરક્ષરતા નાબુદી
- શિક્ષણ એ સમજણનો પાયો છે.  તેનાથી વ્યક્તિની વૈચારિક શક્તિ વધે છે.                       
  * વિજ્ઞાનનો પ્રચાર - વહેમ - અંધશ્રદ્ધા દૂર કરવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક પ્રયોગોથી સમજાવી શકાય.                           
* સામાજિક આંદોલન - અંધશ્રદ્ધા ભગાડો દેશ બચાવો જેવા પ્રોગ્રામ થવા જોઇએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પસંદ આવી ગયુ મિત્રનો WhatsApp Status? આ રીતે કરવુ ડાઉનલોડ