ઉનાળાની શરુઆત પહેલાં જ અરવલ્લીમાં તળાવો સુકાભઠ્ઠ, સરકાર પાસે નર્મદાના પાણીની માંગ
Publish Date: Thu, 14 Mar 2019 (12:47 IST)
Updated Date: Thu, 14 Mar 2019 (12:49 IST)
ઉત્તર ગુજરાતના નવનિયુક્ત અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરુઆત પહેલાં જ પાણીનો પોકાર પડ્યો છે. અહીં નાના મોટા થઈને 700થી વધુ તળાવો સુકાભટ્ટ થઈ જતાં ખેતી અને પીવાના પાણીની અછત આસમાને પહોંચી છે. સરકાર દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.ઉનાળાની શરૂઆત થતાંજ અરવલ્લી જિલ્લામાં પાણીના પોકાર ચાલુ થઈ ગયા છે. જિલ્લામાં પાણીનું જળસ્તર ઊંડું જતું રહેતા વિસ્તારના કુવા બોરમાં પણ પાણી ઊંડે ઉતરી ગયા છે. સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લાના મોટા સહિત નાના તળાવોને ઊંડા કરવા પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચ કરાયો છે. તેમ છતાં આ તળાવો હાલ ખાલી ખમ છે. ત્યારે આગળ કપરો ઉનાળો આવી રહ્યો છે.સરકાર દ્વારા આ મોટા તળાવોમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તો ખેડૂતો માટે ઉપયોગી સાબિત થવાની સાથે જિલ્લાના કુવા બોરમાં પણ પાણી રિચાર્જ થતા પશુધન માટે પણ ઉપયોગી બની શકે. હાલ જિલ્લાના ડેમોમાં પાણીનો પુરવઠો રવિ સિઝન બાદ પીવામાં પહોંચી વળાય તેટલોજ બચ્યો છે. ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી શકે તેમ નથી. જેના કારણે ઉનાળુ ખેતી ઉપર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા જિલ્લાના ખાલી તળાવો નર્મદાના નિરથી ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.સમગ્ર મામલે જીલ્લા અધિક કલેકટર નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, જીલ્લામાં ગત ચોમાસા દરમિયાન આ તળાવો ભરાયા હતા. પરંતુ સમય જતા પાણી જમીનમાં ઉતારી જવાના કારણે આ તળાવો હાલ ખાલી બન્યા છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર જીલ્લામાં પાણીની તંગીન સરજાય તે માટે સજ્જ છે.
આગળનો લેખ