Publish Date: Wed, 05 Jun 2019 (14:27 IST)
Updated Date: Wed, 05 Jun 2019 (14:28 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી. સવારે 8 વાગે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું. વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી અપાશે. વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે. વિજય રૂપાણીએ સાબરમતી નદીમાં પત્ની અંજલિબેન રૂપાણી સાથે સફાઈ કરી. ગૃહમંત્રી, મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હાજર રહ્યા હતા. સાંસદ ડો. કિરિટ સોલંકી પણ સફાઈમાં જોડાયા હતા.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં પશ્ચિમ બાજુ ટોરેન્ટ પાવરથી વાસણા બેરેજ તથા પૂર્વમાં ડફનાળાથી વાસણા બેરેજ સુધીના બંને તરફના વિસ્તારની લોકભાગીદારીથી સફાઇ કરાશે.