Publish Date: Wed, 26 Aug 2020 (13:15 IST)
Updated Date: Wed, 26 Aug 2020 (13:17 IST)
અમદાવાદના મધ્યમવર્ગીય દર્દીઓના આધાર સમાન વી.એસ. હોસ્પિટલને સંપૂર્ણ ક્ષમતા સાથે ફરી કાર્યરત કરવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. વી.એસ. હોસ્પિટલ અંગે કરવામાં આવેલી આવી જ એક રિટ સાથે આ રિટને સમાવિષ્ટ કરવામાં આવી છે અને કેસની સુનાવણી ચોથી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. અરજદારની માગણી છે કે પહેલાં વી.એસ.માં જેટલાં પણ સ્પેશિયાલિટી વિભાગો હતાં તેને ફરી શરૂ કરવામાં આવે. અરજદારે રજૂઆત કરી છે કે અમદાવાદમાં અત્યારે અંદાજે 80 લાખ લોકોની વસતિ છે અને તેમાંના મોટાભાગાના લોકો મધ્યમવર્ગના છે. આ લોકોને રાહત દરે તમામ પ્રકારની તબીબી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે. તબીબી સેવાઓની ગુણવત્તા અને પ્રમાણમાં વધરો કરવાની જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલના સપનાઁઓને સાકાર કરતી અને છેલ્લાં 90 વર્ષથી કાર્યરત વી.એસ. હોસ્પિટલને બંધ કરવા કોર્પોરેશન મથી રહી છે. કોર્પોરેશને ક્રમશ: એવાં પગલાં લઇ રહ્યું છે જેનાથી વી.એસ. હોસ્પિટલ સંપૂર્ણપણે બંધ થઇ જાય. વી.એસ.ની કેથલેબને તોડી પાડવાના કમિટીની ઠરાવને પણ મંજૂરી આપવામાં આવે છે, જેથી કોર્પોરેશનનો ઇરાદો સમગ્ર વી.એસ. હોસ્પિટલ તોડી પાડવાનો છે. અરજદારની રજૂઆત છે કે વી.એસ.માં દર વર્ષે દસ લાખ અને દરરોજ ચાર હજાર દર્દીઓ સારવાર લેતાં હતા. આ હોસ્પિટલ બંધ થવાની મધ્યમ વપ્ગને ઘણો ફટકો પડે તેમ છે. તેથી આ હોસ્પિટલ ફરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે તે જરૂરી છે.