Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત
, ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (12:16 IST)
રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ગત મોડી રાત્રે રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈક રેસ કરી હતી, જેમાં બાઈકસવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો. મૃતક બે યુવકોમાં વિશાલ મનોજભાઇ જાદવ (શેખર) અને પિન્ટુ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત યુવકનું નામ કરણ ભરતભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતક બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.આ યુવકોની બાઈક રેસથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઈકસવારો કાર સહિત મોટાં વાહનોને ઓવર ટેક કરતાં નજરે પડ્યા હતા. આ રેસથી અન્ય બાઈકસવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઊભી રાખી તેમને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી, કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું