Publish Date: Sat, 09 May 2020 (10:27 IST)
Updated Date: Sat, 09 May 2020 (10:41 IST)
રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા ગુરૂવાર સુધીમાં 97 વિશેષ ટ્રેન અને અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 જેટલી ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ 97 ટ્રેન એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે. શુક્રવારે વધુ 33 સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિઓ, શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.
સુરત શહેરમાંથી 39 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જૈ પૈકી ઉત્તરપ્રદેશ માટે 16 ટ્રેનો, ઓરિસ્સા માટે 16, બિહાર માટે 4 અને ઝારખંડ માટે 3 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશન પરથી ગઇકાલ રાત્રી સુધીમાં કુલ 24 ટ્રેનો રવાના થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 18, બિહાર માટે 6 ટ્રેનનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાંથી 9 ટ્રેન રવાના થઇ છે, જેમાંથી 8 ઉત્તરપ્રદેશ અને 1 બિહારનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી કુલ 4 ટ્રેનો રવાના થઇ છે જેમાં 2 યુ.પી, 1 બિહાર અને 1 મધ્યપ્રદેશ, ગોધરામાંથી કુલ 3 ટ્રેનો, જેમાં 1 ઉત્તરપ્રદેશ અને 1 બિહાર, જામનગરમાંથી કુલ 2 ટ્રેનો જેમાં ઉત્તરપ્રદેશ 1 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છ ભૂજમાંથી ઉત્તરપ્રદેશ માટે 1 ટ્રેન, મહેસાણાથી ઉત્તરપ્રદેશ માટે 1, મોરબીથી ઝારખંડ માટે 1, નડિયાદથી ઉત્તરપ્રદેશ માટે 3 , પાલનપુરથી ઉત્તરપ્રદેશ માટે 1, આણંદથી કુલ 2 ટ્રેનો રવાના થઇ છે, જેમાં 1 બિહાર અને 1 ઉત્તરપ્રદેશ, અંકલેશ્વર-ભરૂચથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ, ભરૂચથી 1 ટ્રેન બિહાર, ભાવનગરથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વિશેષ ટ્રેનોની વિગતો આપતા કહ્યું કે, ઉત્તરપ્રદેશ માટે કુલ 57 ટ્રેનો, ઓરિસ્સા માટે 16 ટ્રેનો, ઝારખંડ માટે 4 ટ્રેનો, બિહાર માટે 16 ટ્રેનો અને મધ્યપ્રદેશ માટે 1 ટ્રેન એમ કુલ 94 ટ્રેનના માધ્યમથી 1 લાખ 13 હજાર પરપ્રાંતિઓ, મજૂરો, શ્રમિકોને ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં રવાના કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એના માટેની ચોક્કસ વ્યવસ્થા અને પ્રબંધ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, નડિયાદ, પાલનપુર, મહેસાણા અને અન્ય જિલ્લાઓના વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. શુક્રવાર કુલ 33 ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશની કુલ 25 ટ્રેનો, બિહારની 4, ઝારખંડની 1, મધ્યપ્રદેશની 2 અને રાજસ્થાનની 1 ટ્રેનનો સમાવેશ થાય છે.
સુરતમાંથી કુલ 9 ટ્રેનોમાંથી 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 2 ટ્રેન બિહાર, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન રાજસ્થાન રવાના થશે. વડોદરામાંથી કુલ 3 ટ્રેનો રવાના થશે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 2 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ 7 ટ્રેનો રવાના થશે. જેમાંથી સાબરમતી સ્ટેશન પરથી ઉત્તરપ્રદેશ જવા માટે 5 ટ્રેન અને વિરમગામથી 2 ટ્રેન રવાના થશે. આ ઉપરાંત અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, હિંમત્તનગર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, તાપી, નડિયાદમાંથી 1 ટ્રેન અને મોરબીમાંથી 2 ટ્રેન રવાના થશે.