Publish Date: Tue, 17 Apr 2018 (16:10 IST)
Updated Date: Tue, 17 Apr 2018 (16:14 IST)
રાજ્યમાં જંગલી પ્રાણીઓના આરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે રાજ્યમાં વધું ત્રણ નવા સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. આંબરડી સફારી પાર્કમાં વધું સિંહો મૂકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. તેવી જાહેરાત મંગળવારે ગાંધીનગર ખાતે ગણપત વસાવાએ કરી હતી. રાજ્યમાં જ ત્રણ નવા સફારી પાર્ક બનાવવામાં આવશે તેમાંનો એક સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે બનાવાશે. ડાંગના વઘઇમાં 32 હેક્ટર જમીનમાં દીપડા માટે સફારી પાર્ક બનાવાશે.
આ ઉપરાંત તિલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. તિલકવાડામાં 64 હેક્ટર જમીનમાં ટાઈગર સફારી પાર્ક બનાવાશે. જેમાં 8 વાઘને મૂકવામાં આવશે. આ પાર્ક બનાવવા માટેની મંજૂરી ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર પાસેથી મળશે. ગણપત વસાવાએ સિંહને સમગ્ર ભારતનું ગૌરવ ગણાવતા કહ્યું હતું કે આંહરડી લાયન સફારી પાર્કમાં હાલમાં 3 સિંહો મૂકવામાં આવ્યા છે. વધું 5 સિંહો મૂકવાની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધી છે. જેથી હવે આંબર઼ડી સફારી પાર્કમાં 8 સિંહો ગર્જના કરતા જોવા મળશે.