Publish Date: Mon, 04 Feb 2019 (15:12 IST)
Updated Date: Mon, 04 Feb 2019 (15:14 IST)
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. આજે વધુ ચાર લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો હતો. એક જ દિવસમાં ચાર લોકોનાં મોત જુદી જુદી જગ્યાએ થયાની સાથે જ નવા વર્ષમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે સત્તાવાર રીતે મોતનો આંકડો વધને ૩૮ ઉપર પહોંચી ગયો હતો, પરંતુ બિનસત્તાવાર રીતે આ આંકડો વધારે હોઈ શકે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા, રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરામાં પણ નવા નવા કેસ સપાટી પર આવી રહ્યા છે. આજે ચાર લોકોનાં મોત થયાં હતાં અને નવા કેસો પણ સપાટી ઉપર આવ્યા હતા. પહેલી જાન્યુઆરી બાદથી હજુ સુધી સ્વાઈન ફ્લૂના કુલ ૭૪૦થી વધુ કેસો સપાટી પર આવી ચુક્યા છે. ૨૯૦થી વધુ લોકો હજુ સારવાર હેઠળ છે. જેમને જુદી જુદી જગ્યાઓએ સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લૂના રોગચાળાને રોકવા માટે તમામ મહાનગરપાલિકાઓમાં આક્રમક પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. ગઈકાલે વડોદરામાં બે લોકોનાં મોત થયા હતા. આ બંને લોકો સારવાર હેઠળ હતા. મહિલા દર્દીનું મોડી રાત્રે અને યુવકનું મોડેથી મોત થયું હતું. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. અમદાવાદ અને રાજકોટ, વડોદરા અને સુરતમાં સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત લોકોને વિશેષ અને તમામ પ્રકારની સારવાર અપાઈ રહી છે.