Publish Date: Thu, 12 Mar 2026 (16:27 IST)
Updated Date: Thu, 12 Mar 2026 (16:34 IST)
અમદાવાદના મહત્વપૂર્ણ ગણાતા સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો અને વધુ મજબૂત બ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બ્રિજના કેટલાક સ્પાન નબળા પડી જવાને કારણે સુરક્ષાના કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે ₹235 કરોડના ખર્ચે આ આખા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બ્રિજ તોડવા માટેની પ્રાથમિક તૈયારીઓ અને નવા સ્ટ્રક્ચર માટેનું આયોજન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
અઢી મહિનામાં સ્પાન તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે
ટેકનિકલ અહેવાલ મુજબ, સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં આવેલા લગભગ 6 સ્પાનને તોડી પાડવામાં આવશે. આ બ્રિજ ઘણો જૂનો હોવાથી તેને તોડવા માટે ખાસ એન્જિનિયરિંગ પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી છે, જેથી આસપાસના વિસ્તારને નુકસાન ન થાય. આગામી અઢી મહિનાના ગાળામાં આ ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, ત્યારબાદ નવા અને આધુનિક સ્પાન બનાવવાનું કામ શરૂ થશે.
નદી ખાલી કરાશે: 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતીમાં પાણી રોકાશે
બ્રિજ તોડવાની અને નવા પાયા નાખવાની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના નવા ગેટ્સ લગાવવાની અને મરામતની કામગીરી પણ સાથે જ હાથ ધરવામાં આવશે. નદીનો પટ ખાલી હોવાથી એન્જિનિયરો અને મજૂરો માટે સુરક્ષિત રીતે બ્રિજના નીચેના ભાગમાં કામ કરવું શક્ય બનશે.
સોઇલ ટેસ્ટિંગ શરૂ: જાન્યુઆરી 2027 સુધીમાં બ્રિજ તૈયાર કરવાનું લક્ષ્ય
નવા બ્રિજના નિર્માણ માટે જમીનની ક્ષમતા ચકાસવા 'સોઇલ ટેસ્ટિંગ'ની કામગીરી અત્યારે કાર્યરત છે. નવા પાયાની ઊંડાઈ અને બ્રિજની લોડ ક્ષમતા નક્કી કરવા માટે આ ટેકનિકલ રિપોર્ટ્સ અત્યંત મહત્વના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના મુજબ, તમામ ટેકનિકલ માપદંડો સાથે નવો સુભાષ બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં વાહનવ્યવહાર માટે તૈયાર કરી દેવામાં આવશે