Publish Date: Wed, 04 Apr 2018 (13:06 IST)
Updated Date: Wed, 04 Apr 2018 (13:11 IST)
રાજ્યમાં અંબાજી બાદ હવે સોમનાથ મંદિર પણ સોનાથી ચમકશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક મંદિરના 72 પિલરને સોનાનો ઢોળ ચઢાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં એકસાથે 10 પિલરને સોનાનો ઢોળ ચઢાવાશે. આ 10 પિલરને સોનાનો ઢોળ ચઢાવવા માટે અંદાજે 30 કિલો જેટલું સોનું વપરાશે. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે. લહેરીએ કહ્યું કે, મંદિરને સોને મઢવાના કામનો કોન્ટ્રાક્ટ દિલ્હી ખાતેના કારીગરોને આપવામાં આવ્યો છે. તેમણે પહેલા તાંબા પર આખી ડીઝાઇન તૈયાર કરી હતી અને હવે તેના આધારે સોનાનું રેડી-ટૂ-ઇન્સ્ટોલ સ્ટ્રક્ચર તૈયાર કરી લેવામાં આવ્યું છે.
મંદિરને સોને મઢવાના કાર્યમાં પ્રથમ તબક્કામાં અમે મંદિરના 72 પૈકી 10 પિલરને સોનાથી મઢવાનું નક્કી કર્યું છે. પહેલા આ કારીગરોએ મંદિરના પિલરની ડીઝાઇનને પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી તાંબા પર ઉપસાવી હતી. જે બાદ તેમણે આ ડીઝાઇનની આબેહુબ પ્રતિકૃતિ તરીકે કોપરની શિટ બનાવી તેના પર સોનાનું લેયર ચઢાવ્યું. હવે આ આખા સ્ટ્રક્ચરને પિલર સાછે મઢી દેવામાં આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પિલરને સોનેથી મઢવા માટે તેમને મળેલા દાનના પૈસા દ્વારા સોનું ખરીદવામાં આવ્યું છે. મંદિર પિલરને સોનેથી મઢવા માટે હજુ પણ ડોનેશન આવી રહ્યું છે. જેથી અમે બાકિના પિલરને પણ સોનેથી મઢવાનું કામ જલ્દી પૂર્ણ કરીશું.