Publish Date: Sat, 06 Jan 2018 (12:40 IST)
Updated Date: Sat, 06 Jan 2018 (13:05 IST)
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગીર પંથકનું રસુલપુરા ગામ સોલાર વિલેજ બન્યું છે. આ ગામમાં એવી સોલાર સિસ્ટમ ઉભી કરવામાં આવી છે કે, 25 વર્ષ સુધી ગ્રામપંચાયતને કોઇ વીજળી ખર્ચ નહિ આવે. રસુલપુરા ગામ સોલાર દ્વારા ફ્રી વીજળી મેળવી શકે તે હેતુથી વન વિભાગ અને રાયચુરા કંપનીએ ગામમાં સોલાર સિસ્ટમ ઉભી કરી છે. આ ગામ એવું સોલાર વિલેજ છે, જ્યાં ગ્રામપંચાયત કચેરી અને ગામની સ્ટ્રીટ લાઇટ સોલાર ઉર્જાથી ચાલશે. ગ્રામપંચાયતને આગામી 25 વર્ષ સુઘી કોઇ પણ પ્રકારનું વિજ બિલ નહીં ભરવું પડે. ગીર બોર્ડર પર આવેલા રસુલપરા ગામમાં વન વિભાગ અને રાયચુરા એનર્જીના સહયોગથી સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો છે.
વન વિભાગના અધિકારી ડો.રામરતન નાલાના જણાવ્યા અનુસાર, આ એક નવી પહેલ છે અને આગામી દિવસોમાં ગીર જંગલના જે ગામોમાં વિજળીની સમસ્યા છે, ત્યાં આ પ્રકારના પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ સોલાર સિસ્ટમ ઉભી કરનાર કેન્દ્ર સરકાર દ્વારા નિયુકત રાયચુરા એનર્જીના મિહીર રાયચુરાએ જણાવ્યું કે, રસુલપરા ગામે ૩ કે.વીની સિસ્ટમ ઉભી કરાઇ છે. આ સિસ્ટમથી દિવસ દરમિયાન સોલાર ઊર્જાનું ઉત્પાદન થશે. પીજીવીસીએલમાં અહીંથી સપ્લાય થશે અને રાત્રિના સમયે ગામની 5૦ જેટલી સ્ટ્રીટ લાઇટમાં વીજળીનો વપરાશ કરાશે, અને જો ઉર્જા વધશે તો તેનું વળતર પણ પીજીવીસીએલ ગ્રામપંચાયતને ચૂકવશે. આગામી 25 વર્ષ સુધી આ સિસ્ટમ કાર્યરત રહેશે. એટલે કે 25 વર્ષ સુધી રસુલપરા ગ્રામપંચાયતને કોઇ પણ જાતનો વિજળી બિલનો ખર્ચ ચુકવવો નહિ પડે. ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની સોલાર સિસ્ટમ કાર્યરત થાય તે માટે રાયચુરા એનર્જિના મિહીર રાયચુરા પોતે અંગત રસ લઇ રહ્યાં છે અને રસુલપરા ઉપરાંત આગામી સમયમાં 1૦૦ થી વધુ ગામોને સોલાર સિસ્ટમ થી સજજ કરશે. ભારતના આ પ્રથમ સોલાર વિલેજના પ્રોજેક્ટને શુક્રવારે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાયચુરા કંપનીના અધિકારીએ ગ્રામજનોએ રસુલપુરા ગામમાં સોલાર પાવરને ખુલ્લો મુક્યો હતો.