Publish Date: Fri, 08 Jan 2021 (16:59 IST)
Updated Date: Fri, 08 Jan 2021 (17:01 IST)
શામળાજી મંદિર પરિસરમાં આજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં તસવીર ખેંચાવવા માટે મંદિર પરિસરમાં આવેલી વાવ પરની પાળીથી બેલેન્સ ગુમાવતા મહિલા વાવમાં ખાબકતા કરૂણ મોત થયું હતું. મહિલા તેની સાથે રહેલી કોઈ યુવતી સાથે વાવની ઉપર ઊભી હતી ત્યારે અચાનક બેલેન્સ ન રહેતા દર્શન કરવા આવેલી ભરૂચની મહિલા અંદરની તરફ પડી હતી અને ઘટનાસ્થળે જ વાવમાં મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શામળાજી મંદિર પરિસરમાં ભરૂચના 42 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી તસવીર પડાવતા હતા ત્યારે અચાનક જ તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને લથડ્યા ખાઈને વાવની અંદરની તરફ પટકાયા હતા. તેઓ પરિવાર સાથે શામળાજી દર્શને આવ્યા હતા. દર્શન વેળા જ બનેલી દુઃખદ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થયો હતો. જ્યારે અકસ્માતની શામળાજી પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી.