Publish Date: Tue, 04 Jun 2019 (14:56 IST)
Updated Date: Tue, 04 Jun 2019 (14:59 IST)
ગુજરાતમાં હજુ વધુ ગરમી પડવાની આગાહી વચ્ચે રાજ્યભરની શાળાઓમાં વેકેશન લંબાવવા માટે વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેને લઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે શાળા સંચાલકોની શરણે પડીને વેકેશન નહીં લંબાવવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. હાલ ઉનાળાની ધોમધખતી ગરમી છે પરિણામે શિક્ષણ કાર્યમાં વિઘ્ન ન સર્જાઇ તે માટે વેકેશન લંબાવવા માંગ કરી હતી. પરંતુ હાલમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે નહીં તેમજ 13 જૂન થી 15 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે. આકાશમાંથી અગન ગોળાઓ વરસી રહ્યા હોવાથી બાળકો સનસ્ટ્રોકનો ભોગ બને નહિં તે માટે ઉનાળું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી છે. તો બીજી તરફ વેકેશન લંબાવવાનો શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.