Publish Date: Mon, 22 Nov 2021 (09:11 IST)
Updated Date: Mon, 22 Nov 2021 (09:14 IST)
આજથી ગુજરાતમાં ધોરણ 1થી 5 માટે ઑફલાઇન વર્ગો શરૂ થઈ રહ્યા છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રવિવારે આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ઑફલાઇન વર્ગો શરૂ કરી દેવાયા હતા.
તહેવારો બાદ ફરી એક વખત ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે આ જાહેરાત સંદર્ભે વાલીઓમાં જુદા-જુદા મત પ્રવર્તી રહ્યા છે.
કોરોનાને કારણે લગભગ છેલ્લાં બે વર્ષથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ ઑનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા.
કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય સરકારના શિક્ષણવિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.
ત્યારે રવિવારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
જોકે સાથે જ ઓનલાઇન વર્ગોનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે, જેથી શાળાએ ન જવા માગતા વિદ્યાર્થીઓ ઘરેથી ભણી શકે.
વાલીઓમાં ડર કેમ?
શાળાઓમાં આ અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વર્ગોને પણ ઑફલાઇન કરવામાં આવ્યા હતા, જે દરમિયાન વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ પ્રસર્યું હોવાના કિસ્સા પણ છે.
16 ઑક્ટોબરના રોજ સુરતના એક ક્લાસીસમાં એક સાથે સાત વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓ પૈકી 1 કોરોના સંક્રમિત થતાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાયા હતા.
જેમાંથી સાત વિદ્યાર્થીઓવા રિપરોટ પૉઝિટિવ આવ્યા હતા.
અન્ય એક કિસ્સામાં સુરત શહેરની બે જુદી-જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા.
જેના કારણે બંને શાળાઓ બંધ કરાવાઈ હતી અને તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.