શાળાઓ મર્જ કરવા મુદ્દે શિક્ષકો અને વાલીઓમાં સરકાર સામે રોષ ભભૂક્યો
Publish Date: Wed, 20 Nov 2019 (12:51 IST)
Updated Date: Wed, 20 Nov 2019 (13:01 IST)
ગુજરાત સરકારે હવે સરકારી શાળાઓનાં વર્ગમાં ૩૦થી ઓછી સંખ્યા હોય તો તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈને શિક્ષકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જો કે આ વર્ગ બંધ કરવાની વાતને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં ૩૦થી ઓછી સંખ્યા ધરાવતા વર્ગો બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.આ નિર્ણયના અનુસંધાને સાબરકાંઠા જીલ્લાની ૨૦૭ જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ થાય એમ પરિસ્થિતિ ઉભી થઇ છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે આ નિર્ણયને લઈને શિક્ષકો કરતા વધુ નારાજ વિદ્યાર્થીઓના વાલીઓ દેખાઈ રહ્યા છે. જો કે આ તરફ શિક્ષણ વિભાગ આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યો છે. શિક્ષણ વિભાગના મતે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા વધુ હોય છે.જો શાળાઓમાં સંખ્યા નહિ હોય તો શિક્ષકે પણ ફાજલ થઈને બીજી શાળામાં જવું પડશે અને આની અસર શિક્ષણ કાર્ય પર પણ પડી શકે છે. વર્ગો મર્જ થવાને લઈને બાળકોમાં સમૂહ જીવનની તક મળશે અને યોગ્ય શિક્ષણ પણ મળશે. શિક્ષણ વિભાગના આ નિયમને પગલે ગુજરાતભરનાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો સામે વાલીઓ પણ પોતાના સંતાનોને ઘર આંગણાની શાળા છોડી એક થી બે કિલોમીટર દૂરની શાળામાં મોકલવાના વિચારે જ કચવાઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે આ મુદ્દે ફરી એકવાર વિચારે તેવું શિક્ષકો અને વાલીઓનું માનવું છે.
આગળનો લેખ