Publish Date: Thu, 14 Jun 2018 (13:07 IST)
Updated Date: Thu, 14 Jun 2018 (13:08 IST)
છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો દ્વારા વિવિધ કારણોસર બાળકને કાઢી મુકી અને પ્રવેશ રદ કરી વાલીને એલસી પકડાવી દેવાની ફરિયાદો સામે આવી છે ત્યારે આ મુદ્દે બાળ અધિકાર આયોગને થયેલી ફરિયાદ આયોગે પ્રાથમિક શિક્ષણ વિભાગને આવી સ્કૂલોની માન્યતા રદ કરવા આદેશ કર્યો છે. ફી ન ભરવાથી માડી વિવિધ કારણોસર ઘણી સ્કૂલો ભેદભાવ રાખી અને પૂર્વગ્રહ રાખીને વાલીને જાણ કર્યા વગર એલસી આપી દે છે અને ઘણીવાર તો વાલીને બોલાવ્યા વગર ઘરે જ એલસી મોકલાવી દે છે ત્યારે આયોગના આદેશથી પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આવી સ્કૂલોની માન્યતા રદ કરવા અંગેનો પરિપત્ર કર્યો છે.આ ઉપરાંત આવી સ્કૂલના ટ્રસ્ટીઓ-સંચાલકો સામે બાળ અધિકારી કાયદા અંતર્ગત ફરિયાદ પણ થશે અને પગલા પણ લેવાશે. ખોટા દસ્તાવેજો આપનારી સ્કૂલોને પણ બોર્ડ નામંજૂર કરશે ગુજરાત શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં કેટલાક સભ્યોએ આડેધડ અપાતી નવી સ્કૂલોની મંજૂરી તેમજ મંજૂરીમાં થતા ગોટાળા અને ગેરરીતિ સહિતની ઉગ્ર ફરિયાદો કરી હતી અને જેને લઈને બેઠકમાં ઉગ્ર ચર્ચા અને બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.સભ્યોના હોબાળને પગલે શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે જે સ્કૂલોએ ખોટા દસ્તાવેજો રજુ કરીને મંજૂરી મેળવી હશે તે સ્કૂલની તપાસ કરીને તેની મંજૂરી પાછી ખેંચી લેવાશે અને નામંજૂર પણ કરી દેવાશે.તેમજ કડક પગલા લેવાશે.જ્યારે ધો.૧૦ની પરીક્ષા હળવા કરવા સહિતના અનેક પરીક્ષા લક્ષી અને વિદ્યાર્થી લક્ષી પ્રસ્તાવોને બેઠકમાં ઉડાડી દેવાયા હતા અને મંજૂર કરાયા ન હતા.