Publish Date: Mon, 12 Aug 2024 (17:28 IST)
Updated Date: Mon, 12 Aug 2024 (17:29 IST)
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડૅમના પાણીની સપાટી વધતા નર્મદા નદીને કાંઠે આવેલાં 25 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં હતાં.
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઉપરવાસમાં સતત વરસાદ અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડૅમમાંથી પાણી છોડવાને કારણે સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક વધી હતી. આ કારણે નવ દરવાજા 1.50 મીટર સુધી ખોલવા પડ્યા હતા.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રિવરબેડ પાવર હાઉસ મશીન અને ખોલાયેલા દરવાજાને કારણે 1.35 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ કારણે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ, અને કરજણ તાલુકાના 25 ગામોને અલર્ટ કરાયાં છે.
આ ગામડાંનાં નામ આ મુજબ છે : ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાલી, નાંદેરિયા ; શિનોર તાલુકાના અંબાલી, બરકલ, દિવેર, મલસાર, દરિયાપુર, મોલેઠા, ઝાંઝડ, માંડવા, શિનોર અને સુરાસમાલ ; કરજણ તાલુકાના પુરા, અલામપુરા, રાજળી, લીલાઇપુરા, નાની કોરળ, મોટી કોરળ, જુના સયાર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા અને અરાજપુરા.