Publish Date: Mon, 26 Feb 2018 (16:37 IST)
Updated Date: Mon, 26 Feb 2018 (16:45 IST)
સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના ૨૦૪ સિંચાઈ જળાશયોમાં (ડેમ) બધું મળીને ૪૧.૫૨ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના સત્તાવાર અહેવાલમાં ૨૩મી ફેબુ્રઆરીના આંકડા પર નજર નાંખીએ તો માલુમ પડે છે કે રાજ્યનાં જળાશયોની સંગ્રહશક્તિ ૨૫૨૨૬.૮૧ લાખ ઘન મીટરની (એમસીએમ) છે અને તે સામે હયાત જથ્થો ૧૦૪૭૫.૩૩ લાખ ઘનમીટર છે. ગયા સપ્તાહમાં આ જળસંગ્રહ ૧૦૯૫૩.૯૪ એમસીએમ હતો તે જોતાં એક સપ્તાહમાં ૪૭૮.૬૧ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે.
આંકડા કહે છે તેમ ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૩.૪૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૬૦.૨૦, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૩.૭૬, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૪.૯૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૩૦.૯૩ ટકા અને નર્મદા ડેમમાં ૩૮.૨૪ ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. એકલા નર્મદા ડેમની વાત કરીએ તો ડેમની ડિઝાઈન પ્રમાણે ૯૪૬૦ એમસીએમ જળસંગ્રહ શક્તિ છે. તે સામે ૩૬૧૭.૨૪ એમસીએમ જળરાશિનો સંગ્રહ છે. એક સપ્તાહમાં ૧૪૪ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા યોજનામાંથી ઉનાળુ પાક માટે સિંચાઈની વાતનો સરકારે આ વર્ષે છેદ ઉડાડી દીધો છે. હવે બાયપાસ ટનલ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોને પીવાનું પાણી આપવાની જોગવાઈ કરાઈ છે.